Gujarat

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી ટક્કર

By GS TEAM
25 Dec 20253 mins read
TukuTouch Logo
વાવ થરાદ જિલ્લાના કાંકરેજ તાલુકાની બે મહિલાઓને રાજસ્થાનમાં દિલ દહેલાવે તેવો અકસ્માત નડ્યો છે જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. ઘટનાની વિગતો અનુસાર મહિલાઓ રણુજા દર્શન કરીને પરત ફરી રહી હતી જે સમયે રાજસ્થાનના ધોરીમન્ના નજીક રોડ પર ક્રોસ કરતી વખતે એક કારે બંનેને હવામાં ફંગોળી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને મહિલાઓનો જીવ જતો રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી ટક્કર

Road Accident: વાવ થરાદ જિલ્લાના કાંકરેજ તાલુકાની બે મહિલાઓને રાજસ્થાનમાં દિલ દહેલાવે તેવો અકસ્માત નડ્યો છે જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. ઘટનાની વિગતો અનુસાર મહિલાઓ રણુજા દર્શન કરીને પરત ફરી રહી હતી જે સમયે રાજસ્થાનના ધોરીમન્ના નજીક રોડ પર ક્રોસ કરતી વખતે એક કારે બંનેને હવામાં ફંગોળી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને મહિલાઓનો જીવ જતો રહ્યો હતો. 

ડુગરાસણ અને નગોટ ગામની હતી મહિલાઓ

કાંકરેજ તાલુકાના ડુગરાસણ અને નગોટ ગામની બે મહિલા યાત્રીઓ  રણુજા દર્શન કરવા ગઈ હતી. જ્યાંથી પરત ફરતી વખતે રાજસ્થાનના ધોરીમન્ના નજીક એક સ્ટોપ પર બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી હતી. તે વેળાએ પુરપાટ ઝડપે આવેલી કારની અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓ થઈ હતી. બંને મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થતાં હતા. અકસ્માતની જાણ થતાં રાજસ્થાનના ધોરીમન્ના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. હાલ રાજસ્થાન પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ આદરી છે. દુર્ઘટનાને પગલે કાંકરેજ પંથકમાં ગમગીની છવાઈ છે.

અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 1નું મોત

અમદાવાદના અસલાલીથી નારોલ તરફ જતા રોડ પર બુધવારે મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરને ઓવરટેક કરવા જતાં એક બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કાર ચલાવી રહેલા 20 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેના ચાર મિત્રોનો ચમત્કારિક બચાવ થયો હતો. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હસનેન રફિકભાઈ પટેલ (ઉંમર વર્ષ આશરે 20) ગઈકાલે તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 11:00 વાગ્યાની આસપાસ તેની કાર (નંબર GJ 27 EB 4175) લઈને ચાર મિત્રો સાથે અસલાલીથી નારોલ તરફ જઈ રહ્યો હતો.  લાંબા ટર્નિંગ પહેલાં 'એર ફીટ'ના ગોડાઉન સામે હસનેને આગળ જઈ રહેલા એક કન્ટેનર ટ્રકને ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને રસ્તા પર પલટી મારી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે હસનેનને માથા અને મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

આ પણ વાંચો: 10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ

વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, બે વૃદ્ધોના મોત

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ચમારડી માર્ગ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે સ્કૂટર સવાર બે વૃદ્ધોને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસ તપાસમાં અકસ્માતનો ભોગ બનનાર બંને મૃતકોની ઓળખ પ્રેમજીભાઈ જેરામભાઈ મુંજાણી (રહે. ચમારડી ગામ) અને કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી (રહે. ચમારડી ગામ) તરીકે થઇ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પીએમ અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. પીએમની વિધિ પૂર્ણ થયા બાદ મૃતદેહોને તેમના પરિજનોને સોંપવામાં આવશે.