દીપકપુરા પ્રાથમિક શાળાના આચાર્ય વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે

- ઠંડીમાં કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓને ભણાવવા મુદ્દે
- ફરજમાં બેદરકારી દાખવવા બદલ આચાર્યનું નિવેદન લીધા બાદ પગલાંનો શિક્ષણ વિભાગનો દાવો
ઠાસરા તાલુકાના દીપકપુરાના આચાર્ય વિરુદ્ધ સ્થાનિકોની ફરિયાદોના પગલે શિક્ષણ વિભાગે મૌન તોડયું છે, જિલ્લા શિક્ષણ અધિકારી પરેશભાઈ વાઘેલાએ જણાવ્યું છે કે, ઠાસરા તાલુકાના દીપકપુરા પ્રાથમિક શાળામાં માર્ચ મહિનામાં જર્જરિત ઓરડામાં બેસાડી બાળકોને અભ્યાસ કરતા બાળકના માથામાં છતનો પોપડો પડયો હતો અને બાળકને ઇજા થઇ હતી. તે પ્રકરણમાં દીપકપુરાના આચાર્યની બદલી માતર કરી હતી. આચાર્યએ નિયમોની આડનો ઉપયોગ કરી બદલી પરત કરાવી હતી. જે ઘટના નિયામક સુધી પહોંચી હતી. જેમાં સરકારી નિયમોની બાંધછોડ કરી પરત દીપકપુરા મુકવામાં આવ્યા હતા પરંતુ, આચાર્યએ તેમની ફરજમાં બેદરકારી દાખવી છે. તે બાબત ઘણી ગંભીર છે. ૯૫ જેટલા બાળકો સાથે મનાવતા ના દાખવી અને અન્ય વ્યવસ્થા કર્યા વગર કડકડતી ઠંડીમાં શાળાના કમ્પાઉન્ડમાં બેસાડીને ખોટું કર્યું છે. તેની તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઈને સોંપી અને તેનું નિવેદન લેવડાવ્યું છે. નિવેદન બાદ આગળની કાર્યવાહી કરીશું. તેમ જણાવ્યું હતું. શિક્ષાત્મક કાર્યવાહીના શિક્ષણ વિભાગના પગલા બાબતે શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

