Gujarat

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા

By GS TEAM
21 Aug 20254 mins read
TukuTouch Logo
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી. બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ બાદ અટકાયત, વિદ્યાર્થીઓ પણ જોડાયા

Ahmedabad Seventh day School : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી. બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો.




આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સિંધીબજાર પણ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. 



આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ

સેવન્થ ડે સ્કૂલ બહાર NSUIનો ઉગ્ર વિરોધ, અનેક કાર્યકરોની અટકાયત

શહેરની સેવન્થ ડે સ્કૂલની એક વિદ્યાર્થિનીની હત્યાના મામલે આક્રોશ યથાવત છે. આજે, NSUI દ્વારા સ્કૂલની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો એકઠા થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને અટકાયતનો દૌર શરૂ કર્યો હતો. આ દરમિયાન, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.


પ્લેકાર્ડ સાથે પહોંચ્યા વિદ્યાર્થીઓ

આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા. તેમણે સ્કૂલ વિસ્તારમાં 'ગુંડાગર્દી' ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીઓએ તેમના વિરોધને વ્યક્ત કરવા માટે ખાસ પોશાક પહેર્યો હતો. જેમાં વિદ્યાર્થિનીઓ કાળા કપડાં પહેરીને પહોંચી હતી, જ્યારે વિદ્યાર્થીઓ સફેદ કપડાં પહેરીને આવ્યા હતા.


સ્કૂલ મેનેજમેન્ટ સામે આક્રોશ

પ્રદર્શનકારીઓનો મુખ્ય આક્રોશ સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ સામે હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં મેનેજમેન્ટે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ બેદરકારીને કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હોવાનું તેમનું માનવું છે.


આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ

બુધવારે પણ યોજાયું હતું પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે, આ જ મુદ્દે બુધવારે પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જે દર્શાવે છે કે આ મામલે વિદ્યાર્થીઓ અને સંગઠનોનો આક્રોશ સતત વધી રહ્યો છે અને તેઓ ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. પોલીસે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હુમલા મામલે 500થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે બુધવારે થયેલી મારામારી અને તોડફોડ બાદ પોલીસ સક્રિય થઈ છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલે આ મામલે 500થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઉશ્કેરાયેલા ટોળાએ સ્કૂલની ઓફિસ, ક્લાસરૂમ અને બસના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત, એલસીડી અને કોમ્પ્યુટર સહિતની મિલકતોને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સ્કૂલના સત્તાધીશોએ અંદાજે ₹15 લાખનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો કર્યો  છે. આ ઘટના બાદ ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા જેવી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 


આરોપી વિદ્યાર્થી સહિત અન્ય એકની અટકાયત

વિદ્યાર્થીની હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે. આ ઉપરાંત, આ ઘટનામાં મદદ કરનાર અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાના આધારે અટકાયત કરવામાં આવી છે. હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી

પોલીસ તપાસમાં સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. જાણવા મળ્યું છે કે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ન હતી. એટલું જ નહીં, પરંતુ ઘટનાસ્થળેથી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો હતો. વિદ્યાર્થીના લોહીના ડાઘા દૂર કરવા માટે પાણીનું ટેન્કર બોલાવી સફાઈ કરવામાં આવી હતી, જે એક ગંભીર ગુનો ગણી શકાય છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.