PMJAY યોજના: રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે લાભ મેળવવાની માર્ગદર્શિકા જાહેર
PMJAY Scheme For Government Eemployees-Pensioners : રાજ્ય સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના હેઠળ લાભ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના' શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ કર્મચારીઓને PMJAY યોજના અંતર્ગત 'G' કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે તેમ જણાવાયું છે. PMJAY યોજનાના કાર્ડની ફાળવણી STATE HEALTH AGENCY(SHA)ને સોંપવામાં આવી છે.
કચેરીના વડાએ પ્રમાણપત્ર આપવાનું રહેશે
રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સના કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા(તબીબી સારવાર) નિયમો હેઠળ પાત્રતા ધરાવતા કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેમાં જે-તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેમાં E-KYC માટે કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે.
જ્યારે ફિક્સ પગારના કર્મચારીના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂંક આપ્યા વિના સેવા સમાપ્ત કરવાના, અધિકારી/કર્મચારી સેવા છોડી દેવાના, રાજીનામું, શિક્ષાત્મક કાર્યવાહીના કિસ્સામાં સંબંધિત સરકારી અધિકારી/કર્મચારી તેને લાગુ પડતા પેન્શનના નિયમો મુજબ પેન્શનર ગણવાપાત્ર ન રહે તેવા કિસ્સામાં તેણે છેલ્લે જ્યાં ફરજ બજાવી છે તે કચેરીના વડાએ SHAને તે અંગેની જાણ કરવાની રહેશે. જેના આધારે SHA દ્વારા PMJAYમાં આ યોજના હેઠળના લાભાર્થી તરીકેના નામમાંથી તેઓ અને તેઓના કુટુંબના સભ્યોના નામ કમી કરવામાં આવશે.