સુરતમાં ગરીબ દર્દીઓની સેવા કરતો અનોખો સમાજ સેવક : મોંઘવારી અને મોંઘીદાટ સારવારની વચ્ચે 250 કરોડથી વધુની સરકારી સહાય અપાવી
Surat : સમયની સાથે લોકોની આવક વધી નથી પરંતુ તબીબી સારવારના દરો અનેકગણુા વધી ગયા છે. આવા સમયે માંડ બે છેડા ભેગા કરી ઘર ચલાવનારા લોકોની હાલત કફોડી થઈ રહી છે. આવા મોંઘવારી અને કળયુગમાં સુરત શહેરમાં સુરતના પુર્વ કોર્પોરેટર અને સમાજ સેવક ગાંઠના ગોપીચંદ કરીને આવા ગરીબોને તબીબી સારવારના ભારમાંથી બચાવવા વિવિધ સરકારી સહાય માટે નિમિત બની રહ્યાં છે. સુરતના આ સમાજ સેવક છેલ્લા 27 વર્ષથી લોકોને સરકારી સહાય અપાવવાનું કામ કરે છે. સુરત પાલિકાના મેયર ફંડ, મુખ્યમંત્રી સહાય તથા વડાપ્રધાન સહાય ફંડમાં લોકો પાસે અરજી કરાવીને 250 કરોડથી વધુની સહાય અપાવી છે.
હાલ આકરી મોંઘવારી સાથે તબીબી સારવારના ભાવ પણ આસમાન પર જઈ રહ્યાં છે. જોકે, બિમાર લોકોને સારવાર માટે સરકારની વિવિધ યોજના છે તેમાં પણ હૃદય, કિડની, કેન્સર, લીવર અને બોનમેરો, થેલેસેમિયા, હૃદય ટ્રાન્સફર જેવા જટીલ રોગની સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પહોંચથી દુર જઈ રહી છે. જોકે, આવા રોગોમાં સરકારી સહાય મળે તે માટે સરકારે અનેક યોજના બનાવી છે પરંતુ તે લોકો સુધી યોગ્ય રીતે પહોંચી ન શકી હોય આવી સારવારમાં લોકો દેવાના ડુંગર હેઠળ દબાઈ રહ્યાં છે. જોકે, સુરતના પુર્વ કોર્પોરેટર અને સમાજ સેવક એવા સમીર બોઘરા આવા લોકો માટે દેવદુત સાબિત થઈ રહ્યાં છે. જટીલ અને ગંભીર રોગ માટે સરકારની વિવિધ સહાય તેઓ લોકોને અપાવી રહ્યા છે.
સમીર બોઘરા છેલ્લા 27 વર્ષથી નિસ્વાર્થ ભાવે ગરીબ દર્દીઓની સેવા માટે જાણીતા બન્યા છે. બોઘરા કહે છે, સુરતમાં આવ્યો ત્યારે રત્નકલાકાર હતો અને રમેશ દુધાત સાથે પુર્વ સાંસદ કાશીરામ રાણા ના ઘરે જતો હતો. તે સમયે દર્દીઓના સ્વજનો સંસદ પાસે મેડિકલ સહાય માટે આવતા હતા તે જોતો હતો. તેમના દ્વારા વિવિધ યોજના હેઠળ સહાય અપાવવામાં આવતી હતી તે જોઈને પ્રેરણા મળી હતી.
આ દરમિયાન તેઓ એલએલબીનો અભ્યાસ કરતા હતો તે પુરો થયા બાદ વકીલ બની ગયો પરંતુ જે પ્રેરણા મળી હતી તેથી કોર્પોરેટર બન્યા પહેલા અને કોર્પોરેટરનો સમયગાળો પૂર્ણ થયા બાદ હજી પણ લોકોને તબીબી સારવાર માટે સરકારી સહાય અપાવવાની કામગીરી કરી રહ્યો છું. છેલ્લા 27 વર્ષથી કામગીરી કરી છે તે દરમિયાન 37 હજારથી વધુ દર્દીઓને વિવિધ સરકારી યોજના હેઠળ 250 કરોડની સહાય અપાવી છે. આ સહાયના કારણે અનેક પરિવારો દેવાના ડુંગર હેઠળ દબાતા અટક્યા છે.
હોસ્પિટલ કે કોઈ રાજકારણીઓ સરકારી સહાય આવે એટલે સમીર બોઘરાનો નંબર આપી દે છે
સુરતમાં દર્દીઓને સારવાર માટેની સરકારી સહાય અપાવવા માટે સમીર બોઘરા નિસ્વાર્થ ભાવે સેવા કરે છે તેની જાણ મોટાભાગની હોસ્પિટલને છે અને તમામ પક્ષના રાજકારણીઓને પણ છે. જેના કારણે ગરીબ દર્દી હોસ્પટિલમાં જટીલ રોગની સારવાર માટે દાખલ થાય અને તેમની આર્થિક સ્થિતિ નબળી હોય તો હોસ્પિટલના સ્ટાફ દ્વારા સમીર બોઘરાનો નંબર આપી દેવામાં આવે છે. તેઓ સહાય માટેની આવકના દાખલા, ઓપરેશનનો ખર્ચ, આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજો દર્દીના સંબંધી પાસે મંગાવે છે અને મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે મેયર ફંડ માટે તેઓ પેપર તૈયાર કરાવે છે. બોઘરા પોતે નોટરી છે તેથી જો કોઈ પુરાવામાં નોટરી કરવાનું હોય તો તે કામ પણ તેઓ વિના મુલ્યે કરી આવે છે. પાલિકા, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં અરજી પહોંચાડવા સુધીની પ્રક્રિયા તેઓ કરે છે અને સતત ફોલોઅપ પણ કરે છે. જેના કારણે દર્દીના ઓપરેશન પહેલા તબીબોને સારવાર ઝડપથી મળી રહે છે.
સૌથી વધુ ભલામણપત્ર કરંજના ધારાસભ્ય. પ્રવિણ ઘોઘારીના
હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સરકારી સહાય મેળવવી હોય તો અન્ય પુરાવા સાથે ધારાસભ્યના ભલામણ પત્રની પણ જરૂર પડે છે. છેલ્લા 27 વર્ષથી ગરીબ દર્દીઓને સહાય આપીને દેવદુત સાબિત થયેલા સમીર બોઘરાની સેવા જોઈને કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી આવા દર્દીઓની માફી માટે ભલામણ પત્ર લખી રહ્યાં છે. અત્યાર સુધીમાં સૌથી વધુ ભલામણ પત્ર ધારાસભ્ય ઘોઘારીએ આપ્યા છે.