PM મોદી આજથી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે
Updated: Oct 9th, 2022
- ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની જઈ રહી છે
ગુજરાત, તા. 09 ઓક્ટોબર 2022, રવિવાર
ચૂંટણીમાં વિકાસ કાર્યોથી જનતાને આકર્ષવાની ભાજપની પહેલેથી સ્ટ્રેટેજી રહી છે. પોતાના ગુજરાતના દરેક પ્રવાસમાં PM મોદી ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપે છે. ત્યારે આજથી 3 દિવસ માટે PM મોદી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 14, 600 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનો શુભારંભ કરવાની સાથે જ વિભિન્ન જનસભાઓમાં પણ સામેલ થશે. PM મોદીનો ગુજરાતમાં 3 દિવસ મેગા પાવર શો જોવા મળશે. આ 3 દિવસના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પર PMનું ફોકસ રહેશે. વડાપ્રધાન આ સભા દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ પણ કરશે.
ટૂંક સમયમાં હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ફોજ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ઊતરી આવી છે. ખુદ વડાપ્રધાન મોદી ગુજરાતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપીને ભાજપની વિજયકુચ આગળ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 29 અને 30 સપ્ટેમ્બર બાદ તેઓ ફરીવાર આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે.
ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની જઈ રહી છે. પીએમ મોદી આજે સાંજે ગુજરાત પહોંચશે અને મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આશરે રૂ. 3,900 કરોડના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ મોઢેરાને ચોવીસ કલાક સૌર ઉર્જા પર ચાલતું ભારતનું પ્રથમ ગામ તરીકે પણ જાહેર કરશે. મોઢેશ્વરી માતાના મંદિરમાં પૂજા -અર્ચના ઉપરાંત વડાપ્રધાન મોઢેરાના સૂર્ય મંદિરની પણ મુલાકાત લેશે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મોઢેરાને 24x7 સૌર ઉર્જાથી સંચાલિત ભારતના પ્રથમ ગામ તરીકે મોદી જાહેર કરશે. આ પ્રથમ પ્રોજેક્ટ મોઢેરા શહેરના સૌરીકરણના મોદીના દ્રૃષ્ટિકોણને સાકાર બનાવે છે જ્યાં સૂર્ય મંદિર આવેલું છે. આ પ્રોજેક્ટ હેઠળ જમીન પર સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે અને રહેણાંક અને સરકારી ઈમારતોની છત પર 1,300થી વધુ સોલાર પેનલ્સ ઈન્સ્ટોલ કરવામાં આવી છે જે બેટરી એનર્જી કન્ઝર્વેશન સિસ્ટમ (BESS) દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. આ પ્રોજેક્ટ દર્શાવે છે કે, કેવી રીતે ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા પાયાના સ્તરે લોકોને સશક્તિકરણ કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે અસારવામાં મંજુશ્રી મિલ્સ કમ્પાઉન્ડ ખાતે ભારતના સૌથી મોટા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર એક નવી સફરનો પ્રારંભ કરશે.
વડા પ્રધાન સોમવારે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે જશે ત્યાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સોમવારે અમદાવાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક સંકુલ 'મોદી શિક્ષક સંકુલ'ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. સોમવારે સાંજે મોદી જામનગરમાં 1,460 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ મંગળવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે સભાને સંબોધશે. વડાપ્રધાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રૂ. 1,300 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
વધુ વાંચો: PM મોદી અમદાવાદમાં ભારતના સૌથી મોટા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે