Get The App

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન બે બિલ્ડિંગ સાથે અથડાયું, ત્રણ ટુકડા થયા, કાટમાળ 400 મીટર સુધી ઉછળ્યો

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન બે બિલ્ડિંગ સાથે અથડાયું, ત્રણ ટુકડા થયા, કાટમાળ  400 મીટર સુધી ઉછળ્યો 1 - image


Ahmedabad London Plane Crash: અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થયા બાદ વિમાન ગણતરીની  ક્ષણોમાં મેઘાણીનગર સ્થિત આઇજીપી કંપાઉન્ડમાં આવેલી મેડીકલ હોસ્ટેલની મેસ અને મેડીકલ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાતા ધડાકાભેર આગની ચપેટમાં આવી ગયું હતું. આ બનાવમાં વિમાનના ત્રણ ટુકડા થઇ ગયા હતા. ભલભલાનું કાળજુ કંપી ઉઠે તેવી આ ઘટનામાં આગમાં ભસ્મિભૂત થયેલા મૃતદેહને કોથળામાં અને ચાદરમાં લઇ જવા પડ્યા હતા અને કોઇ વ્યક્તિનો ચહેરો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નહોતો. એટલું જ વિમાન જે બિલ્ડિંગ સાથે અથડાયું ત્યાં રહેતા તબીબો અને તેમના પરિવારના સભ્યો બિલ્ડિંગમાં આગ લાગતા મોતને ભેટ્યા હતા.

પ્લેનના ત્રણ ટુકડા થઇ ગયા, કાટમાળ  400 મીટર સુધી ઉછળ્યો

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જવા માટે ટેક ઓફ થયેલું એર ઇન્ડિયાનું વિમાન કોઇ કારણસર મેઘાણીનગરમાં આવેલા આઇજીપી કંપાઉન્ડ સ્થિત મેડીકલ હોસ્ટેલની  મેસ અને હોસ્ટેલની અતુલ્યમ 4 અને અતુલ્યમ 3 નામના બિલ્ડિંગ સાથે અથડાતા આગ ભભૂકી હતી.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 5 લોકોના મોત, અંતિમ સેલ્ફી વાઈરલ થતાં લોકો થયા ભાવુક

આ સમગ્ર બનાવમાં વિમાન પહેલા મેસની બિલ્ડિંગ સાથે અથડાયું હતું અને તેનો પાછળનો હિસ્સો તેમજ તે  બિલ્ડિંગમાં ફસાઇ ગયો અને વિમાનના બે ટુકડા થઇ ગયા હતા. આ સમયે મેસની બિલ્ડિંગની પાણીની ટાંકી સાથે અથડાયા બાદ વિમાન ત્યાંથી 300 મીટર દુર આવેલી અતુલ્યમ 4 નામની હોસ્ટેલની બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે અથડાયું હતું. ત્યારે તે સમયે વિમાનના બે ટુકડા થઇ ગયા હતા અને વિમાનનો મોટો હિસ્સો અતુલ્યમ 3 નામની બિલ્ડિંગના નીચેના ફ્લોર સાથે ટકરાયું હતું. આ સમયે મોટા ધડાકા સાથે આગ લાગી હતી.

વિમાન અકસ્માતની ઘટનામાં એવી ગોઝારી હતી કે વિમાનમાં રહેલા મુસાફરો અને ક્રુ મેમ્બર આગમાં ભસ્મિભૂત થઇ ગયા હતા. એટલું જ નહી વિમાન અથડાવાના કારણે અતુલ્યમ 4 અને અતુલ્યમ 3 નામની બિલ્ડિંગમાં આગમાં લપેટાઇ ગઇ હતી. સાથેસાથે અન્ય બે બિલ્ડિંગમાં પણ ભારે નુકશાન થયું હતું.જેના કારણે ત્યાં રહેતા તબીબો અને તેમના પરિવારો પૈકી કેટલાંક લોકોના ઘુમાડાને કારણે ગુંગળાઇને બેભાન થઇ ગયા હતા અને કેટલાંક લોકો જીવ બચાવવા માટે ચોથા માળેથી કુદી પડ્યા હતા. 

આ બનાવમાં પેસેન્જરો સાથે તબીબો અને તેમના પરિવારના આઠ જેટલા સભ્યોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 40થી વધુને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. વિમાન ક્રેસ થયુ ત્યારે તેનો કાટમાળ 400 મીટર સુધી ઉછળ્યો હતો.

Tags :