અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા મુસાફરનું નિવેદન, ફ્લાઇટ ઉપડતાં જ 30 સેકન્ડમાં થયો હતો ધડાકો
Ahmedabad Plane Crash : આપણે ત્યાં જૂની કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે' ...આ કહેવતનું સાક્ષાત્ દ્રષ્ટાંત આજે વિમાન ક્રેશમાં જોવા મળ્યું હતું. ક્યારેય ભૂલી શકાય નહીં તેવી દુઃસ્વપ્ન સમાન આ દુર્ઘટનામાં એક મુસાફરનો બચાવ થયાનું સામે આવ્યું છે. સીટ નંબર-11એની ફ્લાઇટમાં બેઠેલા 40 વર્ષીય વિશ્વાસકુમાર રમેશનો આ પ્લેન ક્રેશમાં બચાવ થયો છે અને તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્લેનક્રેશ થયું ત્યારે વિશ્વાસકુમાર રમેશે કૂદકો લગાવી દીધો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ 787-8 ડ્રીમ લાઇન 242 મુસાફરો સાથે ગુરૂવારે બપોરે 1:39ના રવાના થઇ હતી. હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિશ્વાસે જણાવ્યું કે, 'ટેક્ ઓફ્ની 30 સેકન્ડ બાદ ખૂબ જ મોટો અવાજ થયો અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું હતું. બધું જાણે આંખના પલકારામાં થઇ ગયું. વિમાન ક્રેશ બાદ હું ઊભો થયો ત્યારે મારી આસપાસ મૃતદેહના ઢગલા હતા. હું ખૂબ જ ડરી ગયો હતો અને ઊભો થઇને તુરંત જ તે સ્થળથી દોડવાનું શરૂ કરી દીધું.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE UPDATES : 265 લોકોના મૃતદેહ સિવિલમાં લવાયા, આજે PM મોદી અમદાવાદ આવે તેવી શક્યતા
મારી આસપાસ વિમાનના પાર્ટ્સ વિખરાયેલા પડયા હતા. અચાનક જ કોઇએ મને પકડયો અને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડયો હતો.' વિશ્વાસ રમેશ છેલ્લા 20 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલા છે. દીવમાં તે પરિવારના સદસ્યોને મળવા માટે આવેલા હતા. તેમની સાથે વર્ષીય ભાઇ અજય કુમાર રમેશ પણ મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ તેમનો મોડી સાંજ સુધી કોઇ પત્તો મળ્યો નહોતો. વિશ્વાસ રમેશે જણાવ્યું કે, 'અમે પારિવારિક કારણોસર દીવ આવ્યા હતા. મારી સાથે મારા ભાઇ પણ પ્રવાસ કરી રહ્યા હતા. પરંતુ હવે તે મળી રહ્યા નથી. પ્લીઝ, મારા ભાઇને શોધવામાં મદદ કરો. '
આ પણ વાંચો: BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો
ભારતમાં થયેલી સૌથી કરૂણ વિમાન દુર્ઘટનાઓ
કાલીકટ એરપોર્ટ: 7 ઓગસ્ટ 2020ના રોજ વંદે ભારત મિશનની દુબઈથી કાલીકટ આવી રહેલી ફ્લાઈટ રન-વે ઉપર લપસી પડતા 30 ફૂટ ઉંધા ખાડામાં પડી જતા વિમાનના બે ટુકડા થયા હતા. વિમાનમાં સવાર 190 મુસાફરોમાંથી 21ના મોત થયા હતા જયારે 100ને ગંભીર ઇંજા પહોંચી હતી.
મેંગલોર: 20 મે 2010ના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈથી મેંગલોર આવી રહેલી ફ્લાઈટ રન-વેથી બહાર નીકળી ગઈ હોવાથી ખીણમાં પડતા વિમાનમાં સવાર 166માંથી 158 મુસાફરોના મૃત્યુ થયા હતા.
પટણા: 17 જુલાઈ 1998ના રોજ એલાયન્સ એરની ફ્લાઈટ પટણા નજીક તૂટી પડી હતી. વિમાનને વળાંક લેતી વખતે પાયલોટે કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હતી. વિમાન માનવ વસાહત ઉપર તૂટી પડયું હતું જેમાં ૫૫ પેસેન્જર અને પાંચ સામાન્ય નાગરીકોના મોત થયા હતા.
ચકરી દાદરી: 12 નવેમ્બર 1996માં હરિયાણાના ચકરી દાદરી નજીક સાઉદી અરબનું બોઇંગ 747 અને કઝાકસ્તનના વિમાન વચ્ચે હવામાં ટકરાવ થયો હતો અને તેમાં 349 મુસાફરોએ જીવ ખોયા હતા.
બેંગ્લોર: 14 ફેબુ્રઆરી 1990ના રોજ ઇન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ બેંગ્લોર એરપોર્ટ ઉપર રન-વે પર પહોચતી વેળાએ તૂડી પડી હતી જેમાં 146 મુસાફરોમાંથી 92ના મૃત્યુ થયા હતા.
અમદાવાદ: 19 ઓક્ટોબર 1988ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટ રન-વે તરફ ઉતરાણ માટે આવી રહી હતી ત્યારે કોતરપુર ખાતે તૂટી પડી હતી જેમાં 130 મુસાફરોના મોત થયા અને ત્રણનો બચાવ થયો હતો.
બોમ્બે એરપોર્ટ: 21 જૂન 1982ના રોજ મુંબઈ એરપોર્ટ નજીક પહોંચતા એર ઇન્ડિયાની ફ્લાઈટને અક્સ્માત થયો હતો અને વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમ સવાર 111 વ્યક્તિમાંથી 17ના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના ભારે વરસાદના કારણે ભીના રનવે ઉપર બની હોવાનું બહાર આવ્યું હતું.
અરબ સાગર: 1 જાન્યુઆરી 1978માં એર ઇન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈથી ઉડાન ભરતી વેળાએ ટેકનીકલ ખામી સર્જાતા અરબ સાગરમાં તૂટી પડી હતી જેમાં 213 મુસાફરોના મૃત્યુ થયા હતા.