અમદાવાદ પ્લેન ક્રેશ | મૃતક ડૉક્ટર્સ-સ્ટાફના પરિજનો માટે વળતર તથા તપાસની માગ, SCમાં અરજી
Ahmedabad Plane Crash: અમદાવાદમાં ગઈકાલે 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયા ફ્લાઈટ AI 171 દુર્ઘટનાની તપાસ અને વળતર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. બે ડોક્ટર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ દુર્ઘટનામાં મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, રેસિડન્ટ ડોક્ટર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વચગાળાનું વળતર આપવાની માગ સાથે અપીલ થઈ છે.
અપીલમાં માગ કરી છે કે, 'સુપ્રીમ કોર્ટ પ્રત્યેક મૃતકના પરિવારજનો (બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ)ને રૂ. 50 લાખ સુધીનું વચગાળાનું વળતર ચૂકવવા કેન્દ્ર સરકારને આદેશ આપે. કેન્દ્ર સરકારને આ મામલે એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાતની સમિતિ રચવા પણ ફરજ પાડે. જેમાં સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના રિટાયર્ડ જજ, વિમાન તજજ્ઞ, અર્થશાસ્ત્રી અને વીમા નિષ્ણાત સામેલ થાય. આ સમિતિ પીડિત પરિવારોને વળતર આપવાનો નિર્ણય લે. આ નિર્ણય લેવા માટે તેઓ ત્રિવેણી કોડકની Vs એર ઈન્ડિયા લિ. કેસમાં સુપ્રીમ કોર્ટના સ્થાપિત સિદ્ધાંતોનું અનુસરણ કરે.'
વળતર મામલે ઝડપથી નિર્ણય લે
અપીલમાં પીડિતો માટે ઝડપથી વળતર નિર્ધારિત કરવાની પણ માગ થઈ છે. જેથી પીડિત પરિવારોએ લાંબી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે નહીં. બિલ્ડિંગ અને રહેણાંક વિસ્તારના મૃતકોના પરિવારજનોના પુનર્વસન સહાયતા અને રોજગારીની તકો પ્રદાન કરે. અરજદારોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી છે કે, આ દુર્ઘટનાના કારણોની ઊંડી અને સચોટ તપાસ માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપે તેમજ ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે આવશ્યક પગલાં લે.
પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા
અમદાવાદમાં ગઈકાલે થયેલા પ્લેન ક્રેશમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 241 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે અન્ય 24 સ્થાનિકો ક્રેશનો ભોગ બન્યા હતાં. એર ઈન્ડિયાનું આ વિમાન 11 વર્ષ જૂનુ હતું. જે ટૅકઑફની બે મિનિટમાં જ ધડાકાભેર બીજે મેડિકલની હોસ્ટેલમાં અથડાયું હતું. તેની આસપાસની ઈમારતોમાં પણ નુકસાન થયુ હતું. વિમાનનું બ્લેક બોક્સ આજે કાટમાળમાંથી મળી આવ્યું છે. જેના પરથી દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળશે.