શિક્ષણના નામે કરોડોનું કૌભાંડ: પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Education Scam: ગુજરાતના શિક્ષણ વિભાગમાં ભારે ચકચાર જગાવનારા પંચમહાલ જિલ્લાના સર્વ શિક્ષા અભિયાન (SSA) ગ્રાન્ટ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. ડીપીઈઓ (DPEO) કચેરીના બે મુખ્ય આરોપીઓ દ્વારા ધરપકડથી બચવા માટે મુકવામાં આવેલી આગોતરા જામીન અરજી કોર્ટે સખત શબ્દોમાં નામંજૂર કરી દીધી છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુવિધા માટે સરકારે ફાળવેલી ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરવાના આ મામલાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.
રાત્રે 12.30 વાગ્યે નાણાં ટ્રાન્સફર થયા, સરકારી વકીલની કડક દલીલો
ગોધરાના મહે. છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ આર.આર. પટેલની કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટ સમક્ષ કૌભાંડની ગંભીરતા રજૂ કરતા કડક દલીલો કરી હતી કે, આરોપીઓએ ખોટા અને બોગસ બિલો બનાવીને સરકારની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.કાગળ પર મોટો સામાન ખરીદાયો હોવાનું દર્શાવવામાં આવ્યું, પરંતુ વાસ્તવિકતામાં શાળાઓમાં એકપણ સામાન પહોંચાડવામાં આવ્યો જ નહોતો. આ સાથે જ સરકારી નાણાંની લેવડદેવડ રાત્રિના 12.30 વાગ્યે થઈ હોવાનું સામે આવતા આ આખા કૌભાંડની મોડસ ઓપરેન્ડી પર ગંભીર સવાલો ઊભા થયા છે કે આખરે મધરાતે સરકારી નાણાં કોના ઈશારે ટ્રાન્સફર થઈ રહ્યા હતા?
ગોધરા બી ડિવિઝનમાં ગુનો દાખલ, તપાસ તેજ
સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓના હિત માટે આવેલી ગ્રાન્ટમાં અંદાજે 2.79 કરોડ રૂપિયાનો મોટો ગોટાળો સામે આવ્યા બાદ, આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટે ગુનાની ગંભીરતા અને સરકારી નાણાંની ઉચાપતના પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. આગોતરા જામીન નામંજૂર થતાં જ હવે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.








