પંચમહાલના શહેરા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટ્યું નાળું, સ્થાનિકોને હાલાકી
Panchmahal Rain: છેલ્લાં ઘણાં દિવસોથી ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, અમુક જિલ્લામાં તો મેઘરાજા જાણે આફત બનીને વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ નુકસાન અને માલહાનિની ઘટનાઓ સામે આવી છે. પંચમહાલના શહેરા તાલુકામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં નાળાનું ધોવાણ થવાના કારણે રાહદારીઓ માટે રસ્તો બંધ થઈ ગયો છે.
શું હતી ઘટના?
શહેરા તાલુકાના ખાંડીયા ગામે આવેલા સુથાર ફળિયા પાસે ભારે વરસાદના કારણે નાળું ધોવાઈ ગયું છે. જેના કારણે ત્યાંથી અવર-જવરનો રસ્તો બંધ થઈ ગયો છે. સ્થાનિક રહીશો સહિત વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 200થી વધુ રહીશોને આ નાળાના તૂટવાના કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિઃ સંતો-મહંતો સાથે આ રાજનેતાઓ આપશે હાજરી
સ્થાનિકોને હાલાકી
નોંધનીય છે કે, બાળકો આ જ રસ્તે થઈને શાળાએ જતા હતા. જોકે, હવે આ નાળુ તૂટી જવાના કારણે બાળકો અભ્યાસ માટે શાળાએ પણ નથી જઈ શકતા. સ્થાનિકોની માંગ છે કે, જલ્દીમાં જલ્દી તંત્ર દ્વારા તેનું સમારકામ શરૂ કરવામાં આવે. જેથી, લોકોનું જીવન ફરી સામાન્ય બની શકે.
આ પણ વાંચોઃ LIVE: કોણ બનશે સરપંચ : આજે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું રિઝલ્ટ, પરિણામો આવવાની શરૂઆત
25થી 29 જૂનની આગાહી
25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે. 27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.