કોંગ્રેસવાળાને બોલવા નહીં દેવાતા વિપક્ષે કહ્યું-બોર્ડ કોઈના બાપનું નથી!
- રાજકોટ મનપામાં ફરી કોર્પોરેટરોએ પ્રજાના નાણાં વેડફ્યા
- માસ્ક-ડિસ્ટન્સની સલાહ આપતી મનપાના બોર્ડમાં કોર્પોરેટરોએ જ નિયમ ભંગ કર્યો
Updated: Nov 18th, 2021
મોબાઇલ ટાવરનો 400 કરોડનો વેરો ન વસુલ્યાનો આક્ષેપ : ફોટો સારો આવે તે માટે માસ્ક ફેંક્યા
રાજકોટ,: રાજકોટ મનપાની આજે મળેલી દ્વિમાસિક સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ પુછેલા ૪૦ પ્રશ્નો પૈકી ક્રમાનુસાર પહેલો પ્રશ્ન મનપાની મુખ્ય આવક વેરા વસુલાતની નબળી કામગીરી અંગે ની ચર્ચા શરુ થતા જ કોંગ્રેસને બોલવા નહીં દેવાતા બોર્ડ કોઈના બાપનું નથી તેવા શબ્દોચ્ચાર સામે ભાજપનો ઉગ્ર વિરોધ અને દેકારો,શાબ્દિક ટપાટપીમાં બોર્ડ પૂરૂ કરી નંખાયું હતું . વધુ એક વાર માસિક રૂ।.૧૫ હજારનું વેતન અને લાખોના લાભ લેતા પ્રજાના પ્રતિનિધિઓને પ્રજાએ જે કામ માટે મુક્યા છે તે પડતુ મુકીને કેમેરામાં પોતે આવે તે માટે જોરજોરથી રાડો પાડવામાં સમય બગાડયો હતો.
વાણી વિલાસનો તમાશો જોતા અફ્સરો પ્રશ્નોના જવાબ દેવાથી બચી ગયા!ે ૪૦ પ્રશ્નો માટેના ૧ કલાકમાં ૧ પ્રશ્ન પણ ન ચર્ચાયો
ચર્ચાના આરંભ સાથે જ કોંગ્રેસનો દર વખતની જેમ વારો નહીં આવતા વિપક્ષી સભ્યોએ તેમને બોલવા દેવાનું કહેતા ભાજપના સભ્યોએ કોંગ્રેસને બોલવા દેવા નથી તેવું અક્કડ વલણ જારી રાખતા રોષમાં આવીને કોંગ્રેસી સભ્ય વશરામ સાગઠીયાએ નથી બોલવા દે તે કાંઈ બોર્ડ કોઈના બાપનું નથી તેમ કહેતા જ ભારે હંગામો મચ્યો હતો અને માસ્ક-ડિસ્ટન્સ નેવે મુકીને શાબ્દિક ટપાટપી થઈ હતી. ગામ આખાના માસ્ક-ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપતી રહેલી મનપાના બોર્ડમાં કમિશનર અમિત અરોરા સહિત તમામ અધિકારીઓની હાજરીમાં ફોટોગ્રાફી,વિડીયોશૂટીંગમાં ફોટો સારો આવે તે માટે કોર્પોરેટરોએ માસ્ક ઉતારી ફેંક્યા હતા.
કોંગ્રેસના આ અનુચિત શબ્દપ્રયોગને પાછા ખેંચવાના મુદ્દે જયમીન ઠાકર અને આ સભ્ય વચ્ચે હાથ ઉંચા કરી કરીને બાઝવામાં જ સમય પસાર થઈ ગયો હતો. મેયર પ્રદિપ ડવે ફરી આવા શબ્દપ્રયોગ થાય તો કડક પગલાની ચેતવણી પણ આપી હતી. બોર્ડમાં આ હંગામાના કારણે ભંગાર રસ્તા, હાઉસટેક્સ વસુલાત સહિતના આકરા પ્રશ્નોના જવાબ આપવામાંથી અધિકારીઓને મુક્તિ મળી જતા તેઓના ચહેરા પર રાહતની લાગણી જણાતી હતી!
બોર્ડમાં ભાજપના યુવા કોર્પોરેટર નેહલ શુક્લએ વેરા વિભાગમાં વર્ષોથી પડયા પાથર્યા કર્મચારીઓ અંગે સવાલ ઉઠાવ્યો હતો તો મનીષ રાડીયાએ વોર્ડ ઓફિસરોની ભુમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે વિપક્ષના સાગઠીયાએ મોબાઈલ ટાવર પર રૂ।.૪૦૦ કરોડનો વેરો બાકી છે તે અધિકારીઓએ જાણીજોઈને વસુલ્યો નથી અને વેરો ઘટે તેવી પ્રક્રિયા કરવા મોકળાશ કરી આપી છે તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો.