અમદાવાદના આંબાવાડીમાં એપાર્ટમેન્ટની પાણીની ટાંકી ધરાશાયી, 10થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા
Ahmedabad News: ગુજરાતના અનેક જિલ્લામાંઓમાં વરસાદી માહોલ જામ્યો છે, ક્યાંક અનારાધાર તો ક્યાંક થોડા થોડા અંતરાલ બાદ વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ક્યાંક રસ્તામાં ભૂવા પડવા અને જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજે (29મી જૂન) અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકી તૂટી પડી હતી. આ ઘટનામાં 10થી વધુ ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયા હતા.
એક વૃદ્ધાને પગમાં ફ્રેક્ચર થયું
મળતી માહિતી અનુસાર, આંબાવાડી વિસ્તારમાં આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં બે હજાર લીટરની પાણીની ટાંકી તૂટી પડી હતી. જેના કારણે ટાંકીની નીચે આવેલો સ્લેબ પણ ધરાશાયી થયો હતો. જેમાં 10 વધુ લોકો ફસાયા હતા. આ ઘટના જાણ ફાયર વિભાગને થતા ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.જો કે, એક વૃદ્ધાને પગમાં ફ્રેક્ચર થયું હતું જેમને પણ સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મને જીતાડવામાં ભાજપના અનેક લોકોએ સહયોગ કર્યો : ગોપાલ ઈટાલિયાનું ચોંકાવનારું નિવેદન
ઉલ્લેખનીય છે કે, આ સ્લેબ તૂટવાનો અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ ડરી ગયા હતા. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ છવાયો હતો. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ મોટી જાનહાની સર્જાઈ નથી.