મને જીતાડવામાં ભાજપના અનેક લોકોએ સહયોગ કર્યો : ગોપાલ ઈટાલિયાનું ચોંકાવનારું નિવેદન
Image: Instagram @gopal_italia |
Gopal Italia Shocking Statement: વિસાવદરના નવા ચૂંટાયેલા 'આપ'ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જૂનાગઢમાં શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં એકરાર કર્યો હતો કે તેમની જીત પાછળ ભાજપના પણ કેટલાક લોકોનો સહકાર મળ્યો હતો. આ ઘટસ્ફોટથી ભાજપની શીર્સસ્થ નેતાગીરીમાં પોતાના પક્ષના અસંતુષ્ટો મુદ્દે હડકંપ મચી ગયો છે.
ભાજપે કરી મદદ
ઈટાલિયાએ ઘટસ્ફોટ કરતા કહ્યું કે, 'ચૂંટણીમાં મને ભાજપમાંથી પણ ઘણા સારા લોકોએ મદદ કરી. કારણ કે ભાજપના લોકો પણ જાણતા હતા કે કયો માણસ કેવો છે અને કોણ કેવી વિચારધારા ધરાવે છે. સાથે સાથે સરકારી તંત્રમાં રહેલા નાના નાના અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે ઘણા સરકારી કર્મચારીઓએ મારી તરફ નહીં અને બીજાના વિરોધમાં નહીં પરંતુ બંધારણને ધ્યાનમાં રાખીને પોતાની ફરજ બજાવી છે તે ખૂબ જ સારી બાબત છે. મારી જીતમાં આમ આદમી પાર્ટીના લોકો, ભાજપના સારા લોકો સહિત વેપારીઓ, ખેડૂતો અને સારા અને ઈમાનદાર કર્મચારીઓની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.'
આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ
પાટીલને આપી હતી ચેલેન્જ
વિસાવદર મત વિસ્તારમાં જીત્યા બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ જૂનાગઢમાં પત્રકારો સમક્ષ કહ્યું કે, 'વિસાવદરમાં પણ આખુ મંત્રીમંડળ, રાજ્ય અને કેન્દ્ર કક્ષાના નેતાઓ ગામડાઓ ખૂંદતા હતા તેમ છતાં પણ કિરીટ પટેલને શરમજનક રીતે હાર આપી પ્રજાએ પોતાની ખીજ ઉતારી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તોડફોડની દુકાન બંધ કરી ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવે અને ત્યારબાદ બોટાદમાંથી ચૂંટણી લડાવે તો સાચી સ્થિતિનો ખ્યાલ આવી જશે. નોંધનીય છે કે, એક વખત ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવવા સી.આર. પાટીલને તેણે ચેલેન્જ આપી હતી.
નામ નહીં કામને મહત્ત્વ
આ સિવાય ઈટાલિયાએ 'નામ નહીં પણ કામને મહત્ત્વ આપી વિસાવદરની પ્રજાનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવીશ.' એવા દાવા સાથે તેણે ઉમેર્યું કે ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા થઈ રહ્યા છે તે ન થાય તે માટે બેન્ક, સરકારી કચેરી, વન વિભાગ સહિતના સરકારી કચેરીઓના લગતા કાર્ય એક જ સ્થળે કરી અપાશે. શપથ વિધિ બાદ સરકારી બેઠકો અને કચેરીમાં અધિકારીઓને મળી પ્રજા તરફથી મળેલી વિગતો અને લોકપ્રશ્નો અંગે રજૂઆત કરી નિકાલ કરવા કાર્ય કરાશે. આ ઉપરાંત વિસાવદરમાં ચોમાસાના કારણે રસ્તા અને આરોગ્યલક્ષી સમસ્યા, નેનો ખાતર જબરદસ્તીથી ધાબડવામાં આવે છે, દીપડાના ત્રાસ સહિતના મુદ્દે ગ્રાઉન્ડ લેવલના કાર્યો કરવા પ્રાધાન્ય અપાશે.'