અમદાવાદની શાળાઓ સરકારના ઠરાવને ઘોળીને પી ગઈ, ખાનગી પ્રકાશનના પુસ્તકો-RTE ફી મુદ્દે 3 સ્કૂલને નોટિસ
Notices to 3 Ahmedabad schools : ખાનગી પ્રકાશનના પુસ્તકો અને આરટીઇમાં ફી લેવા મુદ્દે 3 સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે. જેમાં આ ત્રણેય સ્કૂલો શહેરના પૂર્વ વિસ્તારની છે. નેલ્સન સ્કૂલને અગાઉ પણ શહેર ડીઈઓ દ્વારા ખાનગી પ્રકાશનોના પુસ્તકો મુદ્દે 10 હજાર રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફરિયાદ સામે આવતાં શહેર ડીઈઓ દ્વારા હવે આરટીઇ ઍક્ટ 2009માં અધિનિયમની કલમ-19 મુજબ પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઠ રૂ.10,000/નો દંડ કેમ ન કરવો ? તે બાબતે ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે.
અગાઉ દંડ છતાં પણ ફરી ખાનગી પ્રકાશનના પુસ્તકોના ઉપયોગ મુદ્દે ફરી નેલ્સન સ્કૂલને નોટિસ
એનએસયુઆઇ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા ખાનગી પ્રકાશના પુસ્તકો માટે દબાણ કરાતું હોવાની અને ખાનગી પ્રકાશનના પુસ્તકો વેચાતા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. દરમિયાન એનએસયુઆઇ દ્વારા શહેર ડીઈઓને પણ આ મુદ્દે લેખિત ફરિયાદ આપવામાં આવતા ડીઈઓ એક્શનમાં આવ્યા હતા અને મણિનગરની નેલ્સન સ્કૂલ તેમજ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલને શહેર ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે. એનએસયુઆઇ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ઘણી ખાનગી સ્કૂલો દ્વારા ખાનગી પ્રકાશનના મોંઘા મોંઘા પુસ્તકો લાવવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવે છે. જેમાં કેટલીક ખાનગી સીબીએસઈ સ્કૂલો પણ છે.
આ પણ વાંચો: કડીમાં લોબિંગ કર્યુ પણ નીતિન પટેલનો પનો ટૂંકો પડ્યો, હાઇકમાન્ડે સક્રિય જૂથોની ગણતરી ઉંધી પાડી
સરકાર દ્વારા અગાઉ ઠરાવ પણ કરવામાં આવ્યો છે અને તે મુજબ કોઈ પણ સ્કૂલ વાલીને ખાનગી પ્રકાશનના પુસ્તકો ચોક્કસ જગ્યાએથી લાવવા માટે દબાણ ન કરી શકે. એનએસયુઆઇની ફરિયાદ બાદ ડીઈઓ દ્વારા બે સ્કૂલોને નોટિસ અપાઈ છે અને દંડ કેમ ન કરવો તેનો ખુલાસો દિન-2માં રૂબરૂમાં આવી કરવા માટે આદેશ કરાયો છે. જેમાં નેલ્સન સ્કૂલને તો અગાઉ પણ ખાનગી પુસ્તકો મુદ્દે 10 હજારનો દંડ કરાયો હતો છતાં પણ ફરીથી ફરિયાદ સામે આવતાં હવે વિદ્યાર્થી દીઠ રૂ.10,000નો દંડ કેમ ન કરવો તે મુદ્દે ખુલાસો મંગાયો છે. જ્યારે ઈસનપુરની મુક્તજિવન સ્કૂલને આરટીઇ હેઠળના બાળકો પાસેથી એડમિશન ફી પેટે એક હજાર રૂપિયા ફી લેવાતાં નોટિસ આપવામાં આવી છે.