Get The App

પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ, 40 કલાકમાં 15 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત 1 - image

Heavy Rain in Santalpur: ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલી ડિપ્રેશન સિસ્ટમના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે, જેનાથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પાટણના સાંતલપુર તાલુકામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં છેલ્લા 40 કલાકમાં 13 થી 15 ઇંચ જેટલો અતિભારે વરસાદ પડ્યો છે.

સાંતલપુર તાલુકામાં અનરાધાર વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. વૌવા, બકુત્રા, દાત્રાણા, રણમલપુરા, ધોકાવાડા, ચારણકા, એવાલ સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક ઘરોને નુકસાન થયું છે.



આ પણ વાંચો: સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા

40થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયુ

પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સાંતલપુરના વૌવા અને કલ્યાણપુરા ગામમાંથી અત્યાર સુધીમાં 40થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા મહેસાણાથી SDRFની ટીમને બોલાવવામાં આવી છે, જે બચાવ અને રાહત કાર્યમાં સ્થાનિક તંત્રને મદદ કરી રહી છે.

આ પણ વાંચો:  VIDEO: કચ્છમાં મુશળધાર 15 ઇંચ વરસાદ, અનેક રસ્તા અને શાળા-કૉલેજો બંધ, જનજીવન ઠપ

મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા

સાંતલપુરથી કચ્છ જતા નેશનલ હાઈવે પર પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો અટવાઈ ગયા છે અને વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.