જામનગર શહેરમાં મહોરમના દરમિયાન હથિયારો સાથે જાહેરમાં ફરતા 8 શખ્સો સામે પોલીસની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : મહોરમના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામનગર પોલીસ દ્વારા સઘન દેખરેખ અને વાહન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન જામનગર સીટી-એ વિભાગ પોલીસ મથકની સર્વેલન્સ ટીમે જાહેરમાં હથિયારો સાથે ફરતા કુલ 8 શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સીટી-એ વિભાગના પોલીસ નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ મહોરમના તહેવારને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમજ સામાજિક માધ્યમોમાં પ્રસારિત થયેલા વિડિયો અંગેની તપાસમાં કુલ આઠ શખ્સો છરી અને કોયતા જેવા હથિયારો સાથે મળી આવ્યા હતા.
પોલીસે અબ્દુલકાદીર ઇકબાલભાઈ શેખ, અકીલ યુનુસભાઈ દરજાદા, તોસીફ અશરફભાઈ સમા, સાહિલ આશીફભાઈ ખીરા, સોહિલ હનીફભાઈ શેખ, ફારૂક હબીબભાઈ શાહમદાર, અકીલ ઇસ્માઇલભાઈ સવકડા અને અયુબ ઇસ્માઇલભાઈ ખુરેશી નામના શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી અલગ-અલગ છરીઓ અને કોયતા કબજે કર્યા હતા.
પોલીસે તમામ સામે હથિયારો સાથે જાહેરમાં ફરવા બદલ ગુનો નોંધી ધોરણસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









