નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dog Attack In Narmada Parikrama: નર્મદા પરિક્રમામાં તિલકવાડા વિસ્તારમાં રખડતા શ્વાનોએ આતંક મચાવતા એકસાથે 16 જેટલા પરિક્રમાવાસીઓને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પરિક્રમાના માર્ગ પર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા પરિક્રમાના પવિત્ર માર્ગ પર રખડતા શ્વાનોના વધતા જતા ત્રાસને કારણે શ્રદ્ધાળુઓમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
બ્રિજ અને નદીના ભાઠા પાસે હુમલો
મળતી માહિતી અનુસાર, શ્રદ્ધાળુઓ જ્યારે નર્મદા નદીના ભાઠાથી ઉપર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક શ્વાનોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. તિલકવાડા બ્રિજ નજીક અને અન્ય કેટલાક સ્થળોએ પણ શ્વાને શ્રદ્ધાળુઓને બચકા ભર્યા હતા. હુમલો એટલો અચાનક હતો કે શ્રદ્ધાળુઓને બચવાનો મોકો મળ્યો નહોતો અને એકપછી એક 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સદનસીબે તમામ શ્રદ્ધાળુઓની હાલત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.









