Narmada News: નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળા પ્રશાસન સામે ગંભીર આરોપો લગાવ્યા છે. વિદ્યાર્થીઓએ સમયસર ભોજન ન મળવા, સ્ટેશનરીની અછત અને નબળી ગુણવત્તાવાળા પાણીની સમસ્યાઓ અંગે વિરોધ દર્શાવ્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓ ગેટ પાસે બેસીને ન્યાયની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે તેમને સમયસર જમવાનું આપવામાં આવતું નથી અને જ્યારે પણ તેઓ આચાર્ય સમક્ષ રજૂઆત કરવા જાય છે, ત્યારે તેમને ધમકાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સ્ટેશનરી પણ સમયસર મળતી નથી.
વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી શાળાની મુલાકાતે આવે છે, ત્યારે જ તેમને સારી ગુણવત્તાવાળું ભોજન મળે છે, પરંતુ બીજા દિવસે સ્થિતિ ફરીથી સામાન્ય થઈ જાય છે. પાણીની ગુણવત્તા અંગે પણ ગંભીર ફરિયાદ ઉઠાવતા વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને 800 TDS વાળું પાણી આપવામાં આવે છે અને પાણીની ટાંકીની નિયમિત સફાઈ પણ થતી નથી.
આ મામલાની જાણ થતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ શાળાની મુલાકાત લીધી હતી. જોકે, સાંસદ મનસુખ વસાવાએ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીઓને શાંત પાડ્યા હતા. સાંસદે વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે. નોંધનીય છે કે આ એકલવ્ય મોડેલ સ્કૂલ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે.


