Get The App

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમાં પહોંચ્યા

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમાં પહોંચ્યા 1 - image

Narmada BJP Internal Factionalism: શિસ્તબદ્ધ પક્ષ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જેના કારણે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી છવાઈ રહી છે. જૂથવાદની આગ એટલી હદે ભભૂકી છે કે, ખુદ ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે બાંયો ચડાવી છે. ધારાસભ્યનો મોભો ન જળવાતાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સમક્ષ જિલ્લા પ્રમુખ નીલ રાવને હાંકી કાઢવા રજૂઆત કરાશે. આમ, ભાજપમાં શિસ્તના ચીથરા ઉડ્યાં છે પરિણામે પ્રદેશ નેતાગીરી પણ સ્તબ્ધ થઈ છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા,નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવે ચલો કમલમના નારા સાથે સમર્થકોને લઈને ગાંધીનગરની વાટ પકડી છે.  

ન્યાય નહીં મળે તો રાજીનામું ધરી દેવાની ચીમકી

મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાનના આક્ષેપો બાદ સળગેલો વિવાદ હવે ઠરવાનું નામ નથી લઈ રહ્યો. જોકે, ઉપરથી બધું શાંત દેખાડવાનો પ્રયાસ થયો હતો, પણ અંદરખાને તો ઘીના ઠામમાં ઘી પડ્યું જ નથી! આજે પણ સ્થાનિક આદિવાસી નેતાઓ ધારાસભ્ય દેશમુખના નિવાસસ્થાને એકત્ર થયા હતાં અને એકસૂર ઉઠ્યો હતો કે, ધારાસભ્યના અપમાનનો બદલો લઈને જ રહીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે નર્મદા જિલ્લાના સિનિયર નેતાઓ ગાંધીનગર પહોંચશે. સ્થાનિક નેતાઓ ખાલી હાથે નથી જઈ રહ્યા પણ પ્રમુખ નીલ રાવ વિરુદ્ધ પુરાવા સાથે લઈને જવાના છે. સંગઠનમાં ધરખમ બદલાવની માંગ સાથે ધારાસભ્ય અને તેમનું જૂથ હવે આરપારની લડાઈના મૂડમાં છે.

પ્રદેશ નેતાગીરી સ્તબ્ધ, હાઇકમાન્ડના નિર્ણય પર સૌની નજર

હાલ પૂરતું મામલો થાળે પડ્યો છે તેવો ભલે દાવો કરવામાં આવે પણ અસંતોષનો જ્વાળામુખી ગમે ત્યારે ફાટી નીકળે તેમ છે. સ્થાનિક આદિવાસી નેતાઓ એ સ્પષ્ટ શબ્દોમાં હાઇકમાન્ડને કહી દીધું છે કે જો રજૂઆત બાદ યોગ્ય ન્યાય નહીં મળે અને જિલ્લા પ્રમુખને હાંકી કાઢવામાં નહીં આવે તો આગળ શું કરવું તે અમે નક્કી કરીશું! આ ગર્ભિત ચીમકીએ પ્રદેશ નેતૃત્વના કાન ઊંચા કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે હાઇકમાન્ડ આ પુરાવા જોઈને પ્રમુખ સામે ‘શિસ્ત’ના નામે ડંડો ઉગામે છે, કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડવા માટે ઘીના ઠામમાં ઘી રેડીને વાત દબાવી દે છે! નર્મદા ભાજપનો આ આંતરિક ક્લેશ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.