નરેન્દ્ર મોદીની સૂચના અવગણીને 20,000 કરોડની જમીન ક્લિયર કરવા મહેસુલ વિભાગમાં કોણે સૂચના આપી
લાંગા તો માત્ર પ્યાદુ, બિલ્ડરો, રાજકારણીઓ, સીએમઓ અને મહેસૂલ વિભાગના અધિકારીઓએ સાથી મળીને 2300 વીઘાનું જમીન કૌભાંડ કર્યું
ગુજરાતમાં 20,000 કરોડનું ગૌચર જમીન કૌભાંડ
ગાંધીનગરમાં મુલાસણા પાંજરાપોળની 2300 વીઘા જમીન પડાવવા અનેક ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને રાજકારણીઓના મળતીયાઓ 2005 થી પ્રયાસો આદરી દીધા હતા. પરંતુ નરેન્દ્ર ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના સમય દરમિયાન વખતોવખત આ પ્રકારના કાવા દાવા કરનારાઓના હાથ હેઠા પડતા હતા. આ મામલે રેવન્યુ વિભાગથી માંડીને હાઇકોર્ટમાં અનેક વખત દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાત છોડીને નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે દિલ્હી જતા પહેલા તેમણે મહેસુલ વિભાગને સ્પષ્ટ સૂચના આપી હતી કે મુલાસણાની પાંજરાપોળની ગાયો માટે ફાળવવામાં આવેલી જમીનમાં કોઈપણ પ્રકારે રેકર્ડ સાથે છેડછાડ ન થાય એટલું જ નહીં ગરીબોની જમીન, શ્રીમંતો પડાવી ન લે એ માટે તેમણે ફાઈલ પર સ્પષ્ટ સૂચના આપી હતી. એટલું જ નહીં મહેસુલ વિભાગનો એક પત્ર પણ ગાંધીનગર કલેકટરને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટ સૂચના હતી કે મુખ્યમંત્રીની કચેરીથી મંજૂરી ન મળે ત્યાં સુધી ગાંધીનગર જિલ્લામાં, મોજે મુલાસણા ખાતે આવેલી પાંજરાપોળની જમીનને કોઈપણ સંજોગોમાં બિનખેતી કરવી નહીં. તારીખ 14 ઓક્ટોબર 2014ના રોજ મહેસુલ વિભાગે એક પત્ર લખીને ગાંધીનગર કલેકટરને સૂચના આપી હતી કે કાયમી અને સંરક્ષિત ગણોતીયા ને કોઈપણ રીતે હેરાનગતિ ન થાય એ જોવાની જવાબદારી સરકારની અને ખાસ કરીને મહેસુલ વિભાગની છે.
નવાઈની વાત તો એ છે કે 14 ઓક્ટોબરના પત્ર બાદ તારીખ 13 નવેમ્બર 2014 ના રોજ મુખ્યમંત્રીની કચેરીથી અન્ય એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોજે મુલાસણા ગામની જુદા જુદા સર્વે નંબર વાળી જમીનમાં રહેણાંક કે ટાઉનશીપ હેતુ માટે બિનખેતી જમીનની પરવાનગી આપવી નહીં. મહત્વની વાત એ છે કે નરેન્દ્ર ભાઈ મોદી ભારતના વડાપ્રધાન થઈને દિલ્હી જતા રહ્યા ત્યાર બાદ એકાએક 2016 સપ્ટેમ્બર મહિનામાં એડવોકેટ જનરલનો ઓપિનિયન, લેન્ડ સીલીંગ એક્ટના સંદર્ભમાં માંગવામાં આવ્યો અને ત્યારબાદ 2019 માં મુખ્યમંત્રી કચેરીની સૂચના ને આધીન રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ લોકસભાની ચૂંટણી પહેલા તારીખ 9 જાન્યુઆરી 2019 ના રોજ એક પત્ર લખીને આશ્ચર્યજનક રીતે એવી સૂચના આપી કે મુખ્યમંત્રીની કચેરીથી 13-11-2014માં આ જ ક્રમાંકથી લખેલો પત્ર અને સૂચના એડવોકેટ જનરલના ઓપિનિયનને કેન્દ્રમાં રાખીને રદ કરવામાં આવે છે અને ગાંધીનગર કલેકટરને સૂચના આપવામાં આવે છે કે તેઓ મુલાસણામાં પાંજરાપોળ અને અન્ય સર્વે હેઠળ આવેલી જમીનને બિનખેતી તથા રહેણાંક ખેતુ માટે અને ટાઉનશીપ હેતુ માટે નિર્ણય લઈ શકે છે.
બિહારમાં લાલુ તો ઘાસ ખાઈ ગયા : ગુજરાતના કૌભાંડી શ્રીમંતો-બિલ્ડરો ગૌચર, તળાવ, ગામપાદર ખાઈ ગયા.... સંપૂર્ણ અહેવાલ વાંચો Click here...
શંકા ઉપજાવતો પ્રશ્ન એ છે કે કોની સૂચનાથી મહેસુલ વિભાગે ગાંધીનગર કલેક્ટરને આ પ્રકારનો પત્ર લખ્યો હતો? અને જો આ અંગે ઉચ્ચ સ્તરે બેઠક મળી હતી તો એ બેઠકમાં કોણ-કોણ હાજર હતું? કયા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત હતા? કયા બિલ્ડરોએ, રાજકારણીઓના મળતીયાઓ કે કોઈ અન્ય ઉચ્ચ સ્તરેથી થયેલા દોરી સંચારને કારણે આ જમીન ફાળવવામાં આવી હતી.?
સીએમઓના ઉચ્ચ અધિકારીના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીએમઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે દોરીસંચાર કરવામાં આવતો હતો. સીએમઓના જ તત્કાલિન ઉચ્ચ અધિકારી દ્વારા મુલાસણાની જમીન પચાવી પાડવા માટે અને આયોજનબદ્ધ કૌભાંડ કરવા માટે એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએમઓના ઉચ્ચ અધિકારીના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ થઈ હતી જેમાં મહેસુલ વિભાગના અધિક સચિવ અને અન્ય અધિકારીઓ, રાજકારણીઓ, બિલ્ડરો અને કૌભાંડીઓનું જૂથ એકઠું થયું હતું. તેમના દ્વારા તબક્કાવાર રીતે જમીન પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડી તૈયાર કરાઈ હતી. સીએમઓ ઓફિસના ઈશારે જ લાંગાને રોજિંદાધોરણે આદેશો આપવામાં આવતા હતા.
12 દિવસના રિમાન્ડમાં લાંગાને મુલાસણાનો ‘મ’ પણ પૂછવામાં ન આવ્યો
મજાની વાત એ છે કે ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે લાંગાને બાર બાર દિવસના રિમાન્ડ લીધા હોવા છતાં મુલાસણાની બાબતનો કોઈ સ્પષ્ટ ખુલાસો તેમના નિવેદનમાં થયો હોવાનું જાણવામાં આવતું નથી. બલ્કે રિમાન્ડ દરમિયાન તેઓને અપ્રમાણસર સંપત્તિ, બંદૂકના લાઇસન્સ અન્ય જિલ્લાઓમાં કરેલી કામગીરી, તેમના પાસપોર્ટ, પરિવારના સભ્યો વિદેશમાં ક્યાં રહે છે અને તેમના ભાગીદારો અંગે જ પૂછપરછ કરવામાં આવી હતી અર્થાત આ તપાસના મહત્વના પાસાઓને શોધવાને બદલે રિમાન્ડ દરમિયાન તપાસને ઇરાદાપૂર્વક આડા પાટે અથવા તો અવળી દિશામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.