બિહારમાં લાલુ તો ઘાસ ખાઈ ગયા : ગુજરાતના કૌભાંડી શ્રીમંતો-બિલ્ડરો ગૌચર, તળાવ, ગામપાદર ખાઈ ગયા
દાનમાં આવેલી મુલાસણાની 20,000 કરોડની જમીનનું આયોજનબદ્ધ કૌભાંડ
ટોકન ભાડે ૫ાંજરા૫ોળને આ જમીન આ૫વામાં આવી હતી. ભવિષ્યમાં ૯૯ વર્ષના અંતે આ જમીન વેચાણથી ૫ાંજરા૫ોળને આ૫વાનો ૫ણ ઉલ્લેખ કરવામાં આવેલ. કરારોને કૌભાંડીઓ ઘોળીને ૫ી ગયા
અમદાવાદ
ગાંધીનગરના મુલાસણા ખાતેની 20,000 કરોડની જમીનનું આયોજનબદ્ધ કૌભાંડ બહાર આવ્યા બાદ હવે આયોજનપૂર્વક તેને આડે રસ્તે અને ખોટાપાટે ચડાવવાનું કામ ચાલી રહ્યું છે. હકિકતે આ કૌભાંડના મૂળ ખૂબ જ જુના અને ઉંડા છે. 1918માં 12મી મેના રોજ 99 વર્ષના ભાડાપટ્ટે આ મુલાસણાની અંદાજે 2300 વિઘા જમીનો ખોડાઢોર અને ગાયો માટે આપવામાં આવી હતી. તે વખતે થયેલા દસ્તાવેજો અને કરારનામા જણાવે છે કે, આ જમીન કેવી રીતે લેવામાં આવી અને કયા હેતુથી આપવામાં આવી હતી. આ જમીન કૌભાંડીઓ દ્વારા બોગસ દસ્તાવેજોથી ખરીદવામાં આવી અને સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલિભગતથી એનએ કરવામાં આવી. આ કરવાથી ટાઈટલ ચોખ્ખા ન થાય.
ગાંધીનગર જિલ્લાના મુલાસણા ખાતેની 20,000 કરોડની જમીનનું કૌભાંડ કરવાની હેસિયત કે ક્ષમતા માત્ર એસ.કે. લાંગા જેવા પૂર્વ કલેક્ટર ન કરી શકે એ વાત ગાંધીનગરના સચિવાલયથી માંડીને ગુજરાતના તમામ રાજકારણીઓ, બિલ્ડરો, કહેવાતા શ્રેષ્ઠીઓ અને દિલ્હી દરબાર સારી રીતે જાણે છે. સૂત્રો કહે છે કે, 2019 લોકસભાની ચૂંટણી પહેલાં પાંજરાપોળની અંદાજે 2300 વીઘા જમીન પચાવી પાડવા માટે એક વ્યવસ્થિત ષડ્યંત્ર રચાયું હતું અને આ કૌભાંડમાં સરકારના ટોપ ટુ બોટમ તમામ કર્મચારીઓ અને પદાધિકારીઓની સંડોવણી જણાય છે. ગાંધી અને વૈદ્યના સહિયારાની માફક બિલ્ડરો, રાજકારણીઓ અને અધિકારીઓએ આ 20,000 કરોડનું કૌભાંડ આચરીને બોગસ દસ્તાવેજો ઉભા કરીને, કાયમી અને સંરક્ષિત ગણોતિયાઓને તેમના મળવાપાત્ર હકોથી બળજબરીથી વંચિત કરીને અને જો ન માને તો સામ, દામ, દંડ, ભેદનું ચૌદમું રતન બતાવીને તમામ સરકારી મશીનરીઓનો દુરુપયોગ કર્યો હતો.
એક સમય હતો જ્યારે બિહારમાં લાલુપ્રસાદ યાદવ ગાયોના અને ઢોરોના ઘાસચારાની રકમ ખાઈ ગયા હતા પણ ગુજરાતના કૌભાંડી શ્રીમંતો ગૌચર, તળાવ, ગામપાદર જ ખાઈ ગયા છે. જમીનનો આકાર અને પ્રકાર (મૂળ સ્થિતિમાં ફેરફાર કરવાની સત્તા કોઈને પણ નથી) તે કેવી રીતે બદલાઈ અથવા તો સરકારી રેકર્ડમાં ચેડાં કરાયા છે તે દિશામાં કોઈ તપાસ થઈ રહી નથી કે પછી કરવામાં આવતી જ નથી. આ જમીનના 1918ના દસ્તાવેજો અને કરાર ઉપર નજર કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે, આ જમીન ગૌચર, તળાવ, સરકારી પડતર, ગામપાદર તરીકે રજૂ કરવામાં આવેલી છે. કૌભાંડીઓ દ્વારા આ તળાવ, ગૌચર અને ગામપાદરને પ્રાઈવેટ પ્રોપર્ટી બનાવીને વેચી મારવાનો કારસો કરવામાં આવ્યો. સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ જોડેની સાંઠગાંઠથી જમીનને એનએ કરી દેવાઈ.
મરણમૂડીની રકમથી લેવાયેલી જમીન આંચકીને શ્રીમંતો વધુ માલેતુજાર બન્યા
જમીનના દસ્તાવેજો જણાવે છે કે, પટેલ પરિવાર અને સીદી પરિવાર દ્વારા ટોકન ભાડે પાંજરાપોળને આ જમીન આપવામાં આવી હતી. ભવિષ્યમાં 99 વર્ષના અંતે આ જમીન વેચાણથી પાંજરાપોળને આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ જમીનનું ભાડું ગાયના નિભાવ માટે પ્રજાએ દાનમાં આપેલી રકમમાંથી ચુકવાતું હતું. પ્રજાએ દાનમાં આપેલી આ મરણમૂડીમાંથી પાંજરાપોળની મિલકત પચાવી પાડવામાં કહેવાતા શ્રીમંતો અને બિલ્ડરોએ પાછી પાની કરી નથી. 1975માં 200 કુટુંબો આમાં વાવતા હતા અને આનાથી ઘાસચારો પાંજરાપોળને ઉપલબ્ધ થતો હતો. તે સંરક્ષિત ગણોતિયાઓ આ જમીનમાં હતા તેમની પણ આ કૌભાંડીઓ દ્વારા બળજબરીપૂર્વક હકાલપટ્ટી કરાઈ. ગરીબ ખેડૂતો અને ગણોતિયાઓના હકો બનાવટી કાગળીયા બનાવી આંચકી લેવામાં આવ્યા. કૌભાંડી શ્રીમંતો અને બિલ્ડરો દ્વારા ગૌચર, તળાવ, વેહાળા-નહેળા બધા પોતાની રીતે કાબજામાં લઈને આકાર અને પ્રકાર બદલીને વેચી મારવામાં આવ્યા. જાણકારો માને છે કે, આ તમામ કૌભાંડ આયોજનબદ્ધ રીતે અને સરકારી એજન્સીઓ અને વિભાગોને સાથે રાખીને કરવામાં આવ્યું હોવું જોઈએ. તેમના મતે 1918માં કરવામાં આવેલા કરાર અને તેમાં કરાયેલા વર્ણનો હાલમાં રહેલી જમીનની સ્થિતિ કે જમીનના વેચાણ સાથે જરાય તાલમેલ ધરાવતા નથી. કૌભાંડી શ્રીમંતો આ રીતે બધું જ પચાવી પાડીને વધારે માલદાર અને શ્રીમંત બની ગયા છે.
99 વર્ષના રિન્યૂએબલ કરાર સાથે ભાડા પટ્ટે જમીન અપાઈ હતી
સુલેમાન કાસમ તથા સીદી અલુ સુલેમાન ઉમર ઉપરાંત પટેલ હીરાચંદ પ્રાણદાસ અને સુત અંબારામ હીરાચંદ દ્વારા આ જમીન 99 વર્ષના રિન્યૂએબલ કરાર સાથે ભાડા પટ્ટે આપવામાં આવી હતી. તે સમયે વર્ષે 3001 રૂપિયા ભાડા પેટે ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 99 વર્ષ પહેલાં જમીનનો કબજો છોડી દેવામાં આવે તો પણ 99 વર્ષ સુધીનું વાર્ષિક ભાડું ચુકવવાનો પણ કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટેટ દ્વારા જમીન છોડાવવામાં એટલે કે ખાલી કરાવવામાં આવે તો તેની વળતરની રકમ મૂળ માલિકને આપવાનો ઉલ્લેખ પણ કરારમાં કરવામાં આવ્યો છે. સરકાર 25 વિઘાથી વધારે જમીન છોડાવીને લઈ લે તો બાકીની જમીનનું ભાડું વરાડે ગણતરી કરીને નવેસરથી ચુકવવામાં આવશે. આ તમામ કરારોને કૌભાંડીઓ ઘોળીને પી ગયા છે. આમ આ જગ્યા મૂળમુદ્દે સરકારશ્રીની હતી.