અમિત ખુંટને દૂષ્કર્મના કેસમાં ફસાવવામાં જૂનાગઢના શખ્સનું નામ તપાસમાં ખુલ્યું

ગોંડલનાં રાજકારણમાં ગરમાવો લાવનાર રીબડાના
હવે પોલીસ દ્વારા રહિમ મકરાણીની શોધખોળ, બંને આરોપી એડવોકેટ જેલહવાલે કરાયા
રાજકોટ: રીબડાના અમિત ખુંટને હનિટ્રેપમાં ફસાવી કાવત્રાના ભાગરૂપે તેના વિરૂધ્ધ દૂષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને કારણે અમિત ખુંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં તેના વિરૂધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણીની પુછપરછમાં જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું છે. જેને પોલીસ અત્યાર સુધી એકસ તરીકે દર્શાવતી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રહીમ મકરાણીએ જ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણી પુજા ગોરને અમિત ખુંટને રેપના કેસમાં ફસાવવાનું કામ સોંપ્યું હતું. બદલામાં બંનેની લાઈફ સેટ કરી દેવાની, સારામાં સારી જોબ અપાવવાની અને મોટી રકમ પણ અપાવવાની ખાત્રી આપી હતી. એટલું જ નહીં બંનેને કપડા પણ લઈ આપ્યા હતા.
આજ કારણથી સગીર વયની મોડલ અને તેની બહેનપણી પુજા ગોર અમિત ખુંટનો કાવત્રા મુજબ સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યા બાદ મિત્રતા અને પ્રેમનું નાટક કરી આખરે તેના વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકમાં દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરિણામે અમિત ખુંટે બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી હતી.
તેની પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટના આધારે ગોંડલ તાલુકા પોલીસે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિંહ ઉપરાંત દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણી પુજા ગોર સામે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં સગીર વયની મોડલ અને પુજા ગોરની પોલીસે ધરપકડ કરી હતી. આ બંનેની પુછપરછમાં રહીમ મકરાણીનું નામ ખુલ્યું હતું. જેની હવે પોલીસની જુદી-જુદી ટીમો શોધખોળ કરી રહી છે. તે ઝડપાયા પછી જ તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવ્યો તેનો ચોંકાવનારો ખુલાસો થશે.
પોલીસ તપાસમાં એવું ખુલ્યું હતું કે દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણીને ફરિયાદ નોંધાવવામાં મદદ કરવા માટે રાજકોટના એડવોકેટ સંજય પંડીત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાતરને કામ સોંપાયું હતું. જેના આધારે પોલીસે આ બંને આરોપી એડવોકેટની પણ ગઈકાલે ધરપકડ કરી હતી.
ત્યાર પછી પોલીસે આજે આ બંને આરોપી એડવોકેટને ૧ર દિવસની રિમાન્ડની માંગણી સાથે ગોંડલની કોર્ટમાં રજૂ કર્યા હતા. રિમાન્ડ નામંજૂર થતાં જેલહવાલે કરાયા હતા. આરોપી સંજય પંડીતે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સ્યૂસાઈડ નોટમાં અમારા નામનો ઉલ્લેખ નથી, ફરિયાદ બાદ બંને યુવતીઓએ વકીલ તરીકે અમારો સંપર્ક કર્યો હતો. જેને કારણે અમે માર્ગદર્શન અને સલાહ આપી હતી. આ સ્થિતિમાં પોલીસે અમને સાહેદ બનાવવાના બદલે આરોપી બનાવી દીધા છે. અમે અવાર-નવાર ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ સામેના કેસમાં તેના વિરૂધ્ધ વકીલ તરીકે રહેતાં હોવાથી અમને આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવાયા છે.
વધુમાં બંને આરોપી એડવોકેટે રહિમ મકરાણીને પોતે જાણતા નથી તેવી લેખિતમાં પણ જાણ કરી હતી.

