Get The App

પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી!

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
પ્રજાના આરોગ્ય સાથે ચેડાંઃ નડિયાદમાં પનીર ચિલીમાં વંદો, રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી! 1 - image

Nadiad and Rajkot News: રાજ્યમાં ફરી એકવાર જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની બે મોટી ઘટનાઓ સામે આવી છે. એક તરફ નડિયાદની એક પ્રખ્યાત હોટલની પનીર ચિલી વાનગીમાં વંદો નીકળ્યો હતો, જ્યારે બીજી તરફ રાજકોટમાં એક ડેરીમાંથી વેચાતી મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. આ ગંભીર કિસ્સાએ તહેવારો ટાણે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે.

નડિયાદમાં પનીર ચીલીમાંથી વંદો નીકળતા હોટલ સીલ

નડિયાદમાં વલ્લભનગર ચોકડી પાસે આવેલી રવિન્દ્ર નાનકિંગ હોટલમાં ગ્રાહકે ઓર્ડર કરેલા પનીર ચીલીમાંથી મરેલો વંદો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઓર્ડર નડિયાદ નગર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના ભાઈનો હોવાનું સામે આવ્યું છે. પેક કરાવેલ ઓર્ડર ઘરે જઈને ખોલતા અંદરથી વંદો નીકળ્યો હતો, જેના પગલે તુરંત ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદને આધારે નડિયાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હોટલ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વંદો નીકળવા ઉપરાંત હોટલમાં ગંદકી પણ મળી આવી હતી. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ કોર્પોરેશને તાત્કાલિક અસરથી રવિન્દ્ર નાનકિંગ હોટલને સીલ કરી દીધી છે.

આ પણ વાંચો: મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

રાજકોટમાં જશોદા ડેરીની મીઠાઈમાં જીવતી ઈયળનો આક્ષેપ

બીજી તરફ, રાજકોટમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના યુનિવર્સિટી રોડ નજીક આવેલા પુષ્કર ધામ ચોક પાસેની જશોદા ડેરીમાં જીવાતવાળી મીઠાઈઓનું વેચાણ થતું હોવાનો એક ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે.

આ આક્ષેપ બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ મુદ્દે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

તહેવારો ટાણે નામ માત્રનું ચેકિંગ?

રાજ્યમાં આ પહેલા પણ ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીઓમાં જીવાત અને વંદા નીકળવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તહેવારોની સિઝન શરૂ થતાં જ ખાણી-પીણીની વસ્તુઓની માગ વધે છે, ત્યારે તંત્ર દ્વારા નામ માત્રનું ચેકિંગ અભિયાન ચલાવવામાં આવતું હોવાની બૂમ ઉઠી છે. આ ગંભીર ઘટનાઓએ વિભાગની કામગીરીની પોલ ખોલી નાખી છે.

ગ્રાહકોના મતે, તંત્ર માત્ર વેપારીઓને નોટિસ ફટકારીને સંતોષ માને છે, પરંતુ જાહેર આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કાયમી અને કડક પગલાં લેવામાં આવતા નથી, જેના પરિણામે આવા કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે.