કોને ખબર હતી કે આ અંતિમ સફર હશે... બે બાળકો સહિત મુંબઈના દંપતીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત
Ahmedabad Plane Crashed: અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં વિમાનમાં સવાર 242માંથી 241ના મોત થઈ ચુક્યા છે. આ મૃતકોમાં એક NRI પરિવાર પણ સામેલ હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં મૂળ મુંબઈના જાવેદ અલીનો આખોય પરિવાર ઉજડી ગયો. જાવેદ અલી લંડનથી મુંબઈ માતાની સારવાર કરાવવા માટે આવ્યો હતો અને સારવાર બાદ ફરી પરિવાર સાથે લંડન પરત ફરી રહ્યો હતો.
જાવેદ અલી અને તેની પત્ની સહિત બે બાળકીઓના મોત
મળતી માહિતી મુજબ, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 37 વર્ષીય જાવેદ અલી તેમની 35 વર્ષીય પત્ની મરિયમ અલી અને બે બાળકોના મોત નિપજ્યા છે. જાવેદનો આઠ વર્ષનો દીકરો ઝયાન અલી અને ચાર વર્ષની દીકરી અલીનું પણ આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનામાં ચરોતરના 50 લોકોના મોત, અનેક પરિવારના દીપ ઓલવાયા
જાવેદ અલી માતાની સારવાર માટે મુંબઈ આવ્યો હતો
જાવેદ અલીના પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, તે 6 દિવસ પહેલાં ભારત આવ્યો હતો. તે માતાની હાર્ટ સર્જરી માટે મુંબઈ આવ્યો હતો. જાવેદની પત્ની લંડનની છે અને તે પણ ત્યાં જ સેટલ થઈ ગયો છે.
વિમાન અકસ્માતમાં વિખેરાઈ ગયો પરિવારનો માળો
જણાવી દઈએ કે, અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ (AI171) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી બપોરે આશરે 1:40 વાગ્યે ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં ક્રેશ થયું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો છે. વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં અનેક લોકોનો પરિવાર ખતમ થઈ ગયો છે.