Get The App

રાજકોટમાં લાંચનો વિવાદ: સાંસદ મોકરિયાએ પૈસા પરત અપાવ્યા, પણ ભ્રષ્ટ અધિકારીનું નામ ગુપ્ત!

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટમાં લાંચનો વિવાદ: સાંસદ મોકરિયાએ પૈસા પરત અપાવ્યા, પણ ભ્રષ્ટ અધિકારીનું નામ ગુપ્ત! 1 - image


Rajkot News : રાજકોટમાં એક અનોખો અને વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ એક સરકારી અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે રૂ. 25,000નો તોડ કરવામાં આવેલા એક નાગરિકને તે રકમ પરત અપાવવામાં મદદ કરી છે. જોકે, આ ઘટના બાદ રામભાઈ મોકરિયા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ અને તેમની કાર્યપદ્ધતિએ રાજકોટના રાજકારણમાં ભારે હડકંપ મચાવ્યો છે, કારણ કે સાંસદે ભ્રષ્ટ અધિકારીનું નામ જાહેર કર્યું નથી કે તેની સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવાની વાત પણ કરી નથી, જેના કારણે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

સાસંદે લાંચના રૂપિયા પરત અપાવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, એક નાગરિકે સાંસદ રામભાઈ મોકરિયા સમક્ષ રજૂઆત કરી હતી કે, એક સરકારી અધિકારીએ તેમના એક મામલાના નિકાલ માટે રૂ.25,000ની લાંચની માંગણી કરી હતી. આ ફરિયાદ મળતાં જ રામભાઈ મોકરિયાએ તાત્કાલિક પગલાં લીધા હતા. તેમણે સંબંધિત અધિકારીને ફોન પર ઠપકો આપ્યો અને રૂ. 25,000ની રકમ પરત અપાવી હતી. આ ઉપરાંત, તેમણે અધિકારીને રૂબરૂ બોલાવીને પણ સખત શબ્દોમાં ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદીએ આસિસ્ટન્ટ-જુનિયર કક્ષાના અધિકારી દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

રાજકોટમાં લાંચનો વિવાદ: સાંસદ મોકરિયાએ પૈસા પરત અપાવ્યા, પણ ભ્રષ્ટ અધિકારીનું નામ ગુપ્ત! 2 - image

ઘટનાને લઈને ઉઠ્યા કેટલાંક સવાલ

આ સમગ્ર ઘટના પછી રામભાઈ મોકરિયાએ પોતાના સત્તાવાર લેટરપેડ પર એક પ્રેસનોટ લખીને જાહેર કરી હતી. સાંસદે પીડિતને નાણાં પરત અપાવ્યા તે નિઃશંકપણે પ્રશંસનીય છે, પરંતુ તેમાં લાંચ માંગનાર અધિકારીનો કે તેના વિભાગનો કોઈ જ ઉલ્લેખ ન હોવા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સાંસદ પોતે પણ જે તે અધિકારી સામે ફરિયાદ નોંધાવાની રજૂઆત પણ કરી શક્યા હોત. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી, પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવાયા હોવાનો આક્ષેપ

ભ્રષ્ટ અધિકારી સામે ACBના હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકાય

મહત્ત્વનું છે કે, દરેક સરકારી કચેરી બહાર ACB(એન્ટી કરપ્શન બ્યુરો)નો સંપર્ક કરવાનું સ્પષ્ટ બોર્ડ હોય છે, પીડિત વ્યક્તિ ACB હેલ્પલાઇન પર પણ ફોન કરી શકે, જોકે વેપારીએ સીધા સાંસદને જાણ કરવાનું પસંદ કર્યું, અને સાંસદે તુરંત કાર્યવાહી પણ કરી. આ સમગ્ર ઘટના ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એક નવો દૃષ્ટિકોણ રજૂ કરે છે, પરંતુ સાથે જ પારદર્શિતા અને જવાબદારીના મુદ્દાઓ પર પણ ગંભીર પ્રશ્નાર્થ મૂકે છે.

Tags :