મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં ગોઝારો અકસ્માત, પતરા પરથી પડી જતા બે શ્રમિકના મોત
Morbi News: મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જીઓ ટેક કલર કંપનીમાં કામ કામ કરતી વખતે પતરા પરથી પડી જતા બે શ્રમિકોના મૃત્યુ નીપજ્યાં છે. મૃતકોની ઓળખ 40 વર્ષીય કિશોર અદગામા અને 45 વર્ષીય દિનેશ વરાણિયા તરીકે થઈ છે. બંને મોરબીના ત્રાજપર વિસ્તારના રહેવાસી હતા.
પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, બંને શ્રમિકો કંપનીના શેડના પતરા પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બંને પતરા પરથી નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત મૃત્યુનો કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ કારખાનામાં સુરક્ષા વ્યવસ્થા અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.