મનરેગા યોજના ભાજપના નેતાઓ માટે કમાણીનું સાધન બની, જાંબુઘોડામાં 300 કરોડ ખર્ચાયા
MNREGA scheme Dahod : દાહોદમાં મનરેગા કૌભાંડમાં કૃષિમંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી બહાર આવી છે. આ કૌભાંડનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનામાં રૂ. 100 કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 42 હજારની વસ્તી ધરાવતાં જાંબુઘોડા તાલુકામાં છેલ્લાં ચારેક વર્ષમાં મનરેગાના નામે રૂ. 300 કરોડના કામો થયા હોવાનું બહાર આવ્યું છે.
જેમાં સ્થાનિકોને રોજગાર તો મળ્યો નથી બલ્કે માત્રને માત્ર મટીરિયલ જ સપ્લાય કરીને સુવ્યસ્થિત રીતે કૌભાંડ આચરાયું છે. આ કૌભાંડમાં પણ સ્થાનિક ભાજપના નેતાઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે. કોંગ્રેસે સમગ્ર પ્રકરણની સીબીઆઇની તપાસ કરવા માંગ કરી છે. ટૂંકમાં મનરેગા યોજના સ્થાનિકોને રોજગાર આપવાની નહીં પણ ભાજપના નેતાઓની કમાણીની યોજના બની રહી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ, પત્ની, ભત્રીજા અને ડ્રાઇવરના નામે એજન્સી
દાહોદ, ભરુચ બાદ હવે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ કટાક્ષ કર્યો કે, જો સૌથી ઝડપી રીતે કુવા, ચેકડેમ, આરસીસી-માટી-મેટલ રોડ કે પછી વિકાસલક્ષી કામો કરવા હોય તો જાંબુઘોડા તાલુકામાં એક આંટો મારવો જોઈએ. કેમકે, ફક્ત 42 હજારની વસ્તી ધરાવતા જાંબુઘોડા તાલુકામાં ચાર જ વર્ષમાં મનરેગા યોજનામાં રૂ. 300 કરોડનો ખર્ચ કરાયો છે.
આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડઃ મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ
આ તો માત્ર મનરેગાની વાત થઈ, નાણાપંચ, તાલુકા-જિલ્લા આયોજન, એમ.પી.-એમ.એલ.એ. ગ્રાન્ટ, ટ્રાયબલ ગ્રાન્ટ અને બીજી ફોરેસ્ટની ગ્રાન્ટ આ બધાનો સરવાળો કરીએ તો અંદાજે રૂ.500 કરોડથી વધુના કામો થયા છે. મનરેગા કાયદાની જોગવાઈ છે કે, 60 ટકા મજૂરીકામ અને 40 ટકા મટીરીયલ્સ પાછળ ખર્ચ થવો જોઈએ. પણ અહીં સ્થાનિકોને રોજગાર આપવાની યોજના ભાજપના નેતાઓની ફાયદાની યોજના સાબિત થઈ છે.
જાંબુઘોડા તાલુકામાં ચાર વર્ષમાં મટીરીયલ પાછળ રૂ. 200 કરોડ ખર્ચાયા છે ત્યારે 60-40ના રેશિયોને બદલે 22 ટકા રકમ જ મજૂરોને ચૂકવાઈ છે જ્યારે 78 ટકા રકમ મટીરીયલ સપ્લાય કરતી એજન્સીઓને અપાઈ છે. એવો પણ આક્ષેપ કરાયો કે, જિલ્લા ભાજપના પ્રમુખ, પત્ની, ભત્રીજા, ડ્રાઇવરના નામે જ એજન્સીઓ કાર્યરત છે. આ એજન્સીઓએ ચાર વર્ષમાં રૂ. 200 કરોડ રૂપિયાનું મટીરીયલ સપ્લાય કર્યું છે. જાંબુઘોડા ગ્રામ પંચાયત, ખાંડીવાવ ગ્રામ પંચાયત, માસબાર ગ્રામ પંચાયત, ખાખરીયા ગ્રામ પંચાયત, કારા ગ્રામ પંચાયત, બીકેજ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થયા હોવાનું કાગળ પર દર્શાવીને લાખો રૂપિયા ભાજપના સ્થાનિક નેતાઓએ સેરવી લીધા છે તેવો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે.
કૌભાંડની સીબીઆઇની તપાસ કરવા માંગ, સીટની રચના કરો
મહત્ત્વની વાત એ છે કે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલી કરીને આવેદનપત્ર આપ્યું પણ હજુ સુધી આ મામલે તપાસ થઈ નથી. કોંગ્રેસે માંગ કરી છે કે, જો મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ થશે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ શકે છે. છેલ્લા 10 વર્ષની મનરેગા યોજનાના તમામ કામોની તપાસ કરવામાં આવે, સમગ્ર કૌભાડ ની સી.બી.આઇ. તપાસ થવી જોઈએ. નવાઈની વાત તો એ છે કે, સ્થાનિક નેતાઓથી માંડીને અધિકારીઓ સંડોવાયાયેલા છે ત્યારે સરકારે સીટની રચના સુદ્ધાં કરી નથી.
આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની શક્યતા, ગરીબ મજૂરોના જોબ કાર્ડના આધારે લાખોની કટકી
લો બોલો, એક જ વ્યક્તિએ 24 કલાકમાં રૂ.256 રૂપિયા મજૂરી લઈ રોડ બનાવી દીધો
જાંબુઘોડા મનરેગા કૌભાંડમાં એવી વાત ઉજાગર થઈ છે કે, મસાબર ગામમાં માટી મેટલ રસ્તાનો એક રોડ બનાવાયો જેમાં રૂ. 3.80 લાખનું ચૂકવણું કરાયુ હતું. જ્યારે આ રોડ બનાવવા માટે એક મજૂરને માત્ર રૂ.256 મજૂરી ચૂકવાઈ હતી. કાગળ પર એવું દર્શાવાયું છે કે, 24 કલાકમાં રોડ તૈયાર થયો હતો પણ સવાલ એ છે કે, એક વ્યક્તિ એક જ દિવસમાં આખો રોડ કેવી રીતે તૈયાર કરી શકે? 380 ટન મેટલ પાથરીને એક જ વ્યક્તિ કેવી રીતે આખો રોડ બનાવી શકે? ખુદ રોડ કોન્ટ્રાકટરો પણ આ વાત માનવા તૈયાર નથી.આ જ પ્રમાણે, અન્ય એક રોડ બનાવવા માટે પણ રૂ. 3.79 લાખ ચૂકવાયા છે.
512 રૂપિયામાં બે મજૂરોએ બે દિવસમાં કૂવો બનાવી દીધો
જાંબુઘોડામાં કેટલશેડના પણ કામો થયા છે જેમાં રૂ. 1.04 લાખ ચૂકવાયા હતા જ્યારે આ કામ પેટે એક મજૂરને રૂ. 256 મજૂરી ચૂકવાઈ હતી. મનરેગામાં 100 દિવસ રોજગારી આપવાનો નિયમ છે જ્યારે આ કામોમાં એક જ દિવસ માનવદિન રોજગારી અપાઈ હતી. એવી ચોંકાવનારી વાત જાણવા મળી છે કે, કૂવો બનાવવા માટે રૂ .2.09 લાખ ચૂકવાયા હતા જ્યારે મજૂરોને રૂ. 512 દાનગી અપાઈ હતી.
ચોંકી જવાય તેવી વાત એ છે કે, માત્ર બે દિવસમાં મજૂરોએ કૂવો બનાવી દીધો હતો તેવું કાગળ પર દર્શાવાયું છે તેમ છતાંય અધિકારીઓએ સવાલ ઉઠાવ્યા નથી. અન્ય એક કિસ્સામાં પણ એક મજૂરે એક જ દિવસમાં કૂવો બનાવી રૂ. 256 મજૂરી મેળવી હતી. કોન્ટ્રાક્ટરને કૂવો બનાવવા માટે રૂ. 1.60 લાખ ચૂકવી દેવાયા હતા. આમ, ગળે ઉતરે નહીં તેવી હકીકત કાગળ પર દર્શાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે.