ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી
Image: Insta, @ramanlalvora |
Gujarat Corruption: ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ઈડરના ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી શકે છે. ગાંધીનગરથી આદેશ છૂટતા ઈડર મામલતદારે ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે. સ્થાનિક તંત્રે ધારાસભ્યનો ખેડૂત ખાતેદારનો દાખલો સાચો કે ખોટો તેની ચકાસણી શરૂ કરી છે.
શું હતી ઘટના?
અટક દર્શાવ્યા વિના જ ધારાસભ્ય, રમણ વોરાએ ખોટા ખેડૂત ખાતેદાર દર્શાવી ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી હતી. જ્યારે આ વાતનો પર્દાફાશ થતાં તેમણે દિનેશભાઈ પટેલને જમીન વેચી દીધી હતી. બાદમાં ખેતીની જમીન એનએ કરીને ફરી રમણ વોરાએ આ જમીન ખરીદી લીધી હતી. આ જ જમીનના દાખલા-દસ્તાવેજો અને ખેડૂત ખરાઇના ખોટા દાખલા આધારે રમણ વોરાએ પુત્રોના નામે મત વિસ્તાર ઈડર નજીક દાવડમાં ખેતીની જમીનો ખરીદી હતી.
આત્મવિલોપનની ચિમકી
આ સમગ્ર પ્રકરણને લઈને હવે વિવાદ જન્મયો છે. એટલુ જ નહીં, અરજદાર રાજેન્દ્ર પટેલે ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ કાર્યવાહી નહીં કરાય તો ઈડર મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ ચોટીલાના દેવસર ગામેથી 1 મહિલા સહિત 8 શકુનીઓ ઝડપાયા, 1 ફરાર
ધારાસભ્ય રમણ વોરાની વધી મુશ્કેલી?
અરજદારે રમણ વોરાના ખેડૂત ખાતેદારના પુરાવા માંગ્યા હોવા છતાંય ઈડર મામલતદાર એ.એ.રાવલે આપ્યા ન હતાં. આ કારણોસર મહેસૂલ વિભાગે તેમની બદલી કરી દીધી હતી. હવે પૂજાબેન જોશીએ ઈડર મામલતદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમનું કહેવુ છે કે, ધારાસભ્યની દાવડ ખાતેની જમીન મુદ્દે વિગતો સહિત ફાઇલ મંગાવી છે. દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ મુદ્દે એવું પણ જાણવા મળ્યું છે કે, ધારાસભ્ય રમણ વોરા વિરૂદ્ધ ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે દંડ પણ ફટકારવામાં આવશે.