અમદાવાદના અસારવામાં બીમારીથી કંટાળીને આધેડનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના અસારવા વિસ્તારમાં સોમવારે (બીજી ફેબ્રુઆરી) રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. અસારવા ચકલા નજીક એક આધેડ વયના વ્યક્તિએ અચાનક પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાથી આસપાસના લોકોએ તુરંત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી અને ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આઘેડ માનસિક રીતે ભાંગી પડ્યા હતા!
મળતી માહિતી અનુસાર, મૃતક આધેડ લાંબા સમયથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતા હતા. જેના કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યા હોવાનું અને કંટાળી ગયા હોવાનું અનુમાન છે. અગાઉ આ જ વિસ્તારમાં રહેતા આ આધેડના પરિવારજનો પણ અસારવામાં જ રહે છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ બીમારીમાં તેમણે ઘણું બધું ગુમાવી દીધું હતું, જેને કારણે હતાશામાં આવીને તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ ઘટનાની જાણ થતા જ શાહીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આધેડના પરિવારજનોના નિવેદન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.









