Mehsana Farmers: મહેસાણામાં ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે હેઠળ 156 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરાઈ છે. જેને લઈને ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોએ સુધારેલ જંત્રી દર મુજબ વળતર ચુકવવા માગ કરી છે.
ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
મળતી માહિતી અનુસાર, મહેસાણાના ખેડૂતોએ ભારતમાલા એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થતી જમીનનો પૂરતો બજારભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે. જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોનો વિરોધ ઊભો થયો છે. ભારતમાલા એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન કરવામાં કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો હતો.
આ પણ વાંચો: મહીસાગરમાં કારની ટક્કરે બાઈક પર જતા વન કર્મચારીનું મોત, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો આક્ષેપ છે કે, ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરના માત્ર 20-22 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂતની નજીક જ બિલ્ડરો અને વેપારીની NA કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટરે 4000-4500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. જો કે, સંપાદિત થતી ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી હતી.


