જામનગરમાં મેગા ડિમોલિશન, બચુનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડ્યા
Mega demolition in Jamnagar: જામનગર મહાનગરપાલિકા દ્વારા શનિવારે (14મી જૂન) પોલીસ બંદોબસ્ત વચ્ચે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથધરીને અંદાજે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
બચુનગર વિસ્તારમાં અંદાજે 394 ગેરકાયદે મકાનો
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. એપ્રિલ 2025થી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે. ખાસ કરીને બચુનગર વિસ્તારમાં અંદાજે 394 જેટલા મકાનો ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા હોવાથી તે તમામ દબાણો ખાલી કરી દેવા નોટિશો આપી હતી. આ ઉપરાંત માલ સામાન કાઢવા માટેની પણ મહેતલ અપાઈ હતી, જે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગયા બાદ શનિવારે સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથધરી હતી.
મેગા ડિમોલિશનમાં 100થી વધુનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ મેગા ડિમોલિશનમાં મનપાના 100થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા હતા અને 100થી વધુનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 12 જેસીબી મશીનો 3 હિટાચી અને 12 ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિમોલિશનની કામગીરી સમયે સ્થાનિક લોકોના મોટા ટોળા એકત્ર થયા હતા.
આ પણ વાંચો: પ્લેન ક્રેશમાં પાલનપુરના બે છાત્રોનો ચમત્કારિક બચાવ, દ્રીજેશ મોરેએ આપવિતી વર્ણવી
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનાથી 14મી જૂન સુધીમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા 850 જેટલા અન અધિકૃત દબાણો જેમાં મકાનો તેમજ ધંધાના સ્થળો વગેરે આવી જાય છે. જે તમામને ડિમોલિશન કરીને દૂર કર્યા છે, અથવા તો હજુ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેના માધ્યમથી અંદાજે 16.50 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે.