આ મોત માટે જવાબદાર કોણ? અમદાવાદમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં આધેડ ડ્રેનેજમાં તણાયા
Rain in Ahmedabad: અમદાવાદમાં બુધવારે (25મી જૂન) ભારે ગાજવીજ અને વીજ કડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મણિનગર વિસ્તારમાં સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે ઓઢવમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઓઢવના અંબિકાનગર નજીક ડ્રેનેજલાઈનમાં એક આધેડ બાઈક સાથે ગરકાવ થયા હતા. ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરતા ડ્રેનેજલાઈનના 200 ફૂટ દૂરથી આધેડનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃતકની ઓળખ 45 વર્ષીય મનુભાઈ પંચાલ તરીકે થઈ છે.
શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય
અમદાવાદના ઓઢવના અંબિકા નગરમાં મોગલ માતાના મંદિર પાસે ડ્રેનેજલાઈન પડેલા યુવકનો મૃતદેહ આજે બહાર કાઢવામાં આવ્યો હતો. બુધવારે રાત્રે આ આધેડ બાઈક સાથે ડ્રેનેજલાઈનમાં ખાબક્યા હતા. આશરે 9 કલાક બાદ ફાયર વિભાગની ટીમને આધેડનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આધેડ બાઈક લઈને સીધો જ ડ્રેનેજ લાઇનમાં પડી જાય છે. એવામાં અમદાવાદની મહાનગર પાલિકાની કામગીરી પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે.
દર વર્ષે જેમ ચોમાસામાં પ્રિ-મોન્સૂનની નબળી કામગીરીના કારણે અમદાવાદનો વિકાસ છતો થાય છે. કંઈક આવી જ ઘટના આ વર્ષે પણ જોવા મળી હતી. એકબાજુ વરસાદના પાણી ઓસરી નહતા રહ્યા ત્યાં બીજી બાજું તંત્રેએ આડેધડ જાહેર રસ્તાની ગટરો ખોલી નાંખી હતી. આ ઉપરાંત ગટરની આગળ કોઈ બેરિકેટ્સ પણ લગાવવામાં નહતા આવ્યા. ઘૂંટણસમા ભરાયેલા પાણીમાં લોકોને આ ખુલ્લી ગટરો દેખાય એમ નથી. જેનો ભોગ ઓઢવમાં આ આધેડ બન્યા હતા. જો કે, આ વિશે તંત્ર દ્વારા ન તો હજુ સુધી કોઈ જવાબદારી લેવામાં આવી છે, ન તો આધેડ માટે કોઈ સાંત્વના પાઠવવામાં આવી છે. આ નઘરોળ તંત્રના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજું તો અષાઢની શરૂઆત છે. મુખ્ય ચોમાસી વરસાદમાં તંત્રના ભોગે આવા અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ સેવામાં ફરજ બજાવતા 11 IPS અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
નોંધનીય છે કે, ખુલ્લી ગટરો સિવાય અમદાવાદમાં વરસાદી ખાડાના કારણે પણ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વખતે ચોમાસામાં વિકસિત અમદાવાદની પોલ ખૂલી જાય છે અને આ ખાડારાજનો ભોગ સામાન્ય લોકોએ બનવું પડે છે. તંત્રને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે.
4 ઈંચ વરસાદથી રસ્તાઓ જળમગ્ન
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના અમદાવાદના પૂર્વ અને પશ્મિમના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. શહેરના મોટેરા, ઝુંડાલ, ચાંદખેડા, રાણીપ, જગતપુર, ગોતા, ન્યુ રાણીપમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વના મણિનગર, રખિયાલ, અમરાઈવાડી, વસ્ત્રાલમાં પણ અનાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ જળમગ્ન થયા હતા. ભારે વરસાદથખી ખોખરા, જશોદાનગર, હાટકેશ્વક સર્કલ અને CTM તરફનો રસ્તો બેટમાં ફેરવાયો હતો.