ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, એકનું મોત, 15 ઈજાગ્રસ્ત
Bhavnagar-Ahmedabad Highway Accident: ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બંધ પડેલા ટેન્કર સાથે આઇસર અથડાતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. હાલ, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ 'નંદ ઘેર આનંદ ભયો...' : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, શુક્રવારે (15 ઓગસ્ટ) વહેલી સવારે ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. મઢીયા ગામ નજીક આઇસર ચાલકની બંધ પડેલા ટેન્કર સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં લગભગ 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને સુમિત નામના 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જોકે, અકસ્માત બાદ ટેન્કર ડ્રાઇવર તુરંત ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ અને પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી ત્યાં હાજર લોકોને પૂછપરછ કરી હતી. પોલીસે આ મામલે ટેન્કર ચાલકની શોધ માટે તપાસ હાથ ધરી છે.