ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું, 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
Independence Day 2025: દેશભરમાં આજે (15મી ઓગસ્ટ) સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરમાં 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.
પોરબંદર આજે સંપૂર્ણ રીતે દેશભક્તિમાં મગ્ન
પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં 'બાપુના પગલે તિરંગા ભારત' થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમ પણ હાજર રહેશે અને આ કાર્યક્રમમાં પરફોર્મન્સ કરશે.
મુખ્યમંત્રી પટેલે સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી
સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, '79માં સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને હાર્દિક શુભકામના. અનેક સ્વાતંત્ર્ય સેનાની-ક્રાંતિકારીઓના સમર્પણ તથા અસંખ્ય દેશવાસીઓના અવિરત સંઘર્ષથી આપણને આઝાદ ભારત મળ્યું છે. ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવનાર એ સૌ વીરોને કૃતજ્ઞતા સહ વંદન કરૂ છું. આપણી સામે 'વિકસિત ભારત'ના નિર્માણનું મહાન લક્ષ્ય છે. આવો, આપણે સૌ આ લક્ષ્યને સાકાર કરવા, અને ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવા કૃત સંકલ્પ થઈએ.'