Get The App

વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી, કાટમાળમાં દટાયેલા પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી, કાટમાળમાં દટાયેલા પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ 1 - image

Accident in Valsad: વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું માળખું (સ્કેફોલ્ડિંગ) અચાનક તૂટી પડતાં પાંચ જેટલા શ્રમિકો તેની નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા. 


બે પિલર વચ્ચે તૂટી પડ્યું સ્ટ્રક્ચર

મળતી માહિતી મુજબ, કૈલાશ રોડ ઉપર બની રહેલા બ્રિજના બે પિલર વચ્ચેના ભાગે માળખું ઊભું કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આ માળખું તૂટી પડ્યું હતું, જેના કારણે પાંચેક જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

આ પણ વાંચો: અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે તત્કાળ બચાવ કામગીરી હાથ ધરીને પાંચેય શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ બ્રિજ નિર્માણનું હજી કાર્ય પૂર્ણ થાય તે પહેલા જ દુર્ઘટના સર્જાતા કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

ઉલ્લેખનીય છે કે, ઔરંગા નદીનો પુલ જર્જરિત બની ગયો હતો અને ચોમાસા દરમિયાન પુરના પાણી ફરી વળવાને કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ રહી હતી. ત્યારે સરકારે લોકોને પડતી મુશ્કેલી નિવારવા નજીકમાં નવા બ્રિજનું નિર્માણ કરવા મંજૂરી આપી હતી. તેનો કોન્ટ્રાક્ટ રોયલ ઇન્ફ્રા નામની એજન્સીને આપ્યો હતો. જો કે, બ્રિજ નિર્માણની કામગીરીમાં માત્ર વેઠ જ ઉતારવામાં આવતી હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ ફલિત થાય છે.