Gujarat

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું

By GS TEAM
4 Sep 20252 mins read
TukuTouch Logo
છેલ્લા બે વર્ષથી ગોધરાના દશા ફાટક પાસે અંડરપાસની અધૂરી કામગીરીને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો બંધ હોવાથી સામાન્ય અવરજવરથી લઈને કટોકટીની પરિસ્થિતિમાં પણ લોકોને પારાવાર મુશ્કેલી પડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું

Godhra, Panchmahal News : છેલ્લા બે વર્ષથી ગોધરાના દશા ફાટક પાસે અંડરપાસની અધૂરી કામગીરીને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો બંધ હોવાથી સામાન્ય અવરજવરથી લઈને કટોકટીની પરિસ્થિતિમાં પણ લોકોને પારાવાર મુશ્કેલી પડે છે.

અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું

અંડરપાસનું કામ બે વર્ષથી અટકી પડ્યું હોવાથી અહીંનો મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો, ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે કોઈ વ્યક્તિનું અવસાન થાય તો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પણ રેલવે પાટા ક્રોસ કરીને લઈ જવાની ફરજ પડે છે. શોકમગ્ન પરિવારોને નનામી ઊંચી કરીને રેલિંગ કૂદીને આગળ વધવું પડે છે, જે એક અત્યંત કરુણ દૃશ્ય છે.


એમ્બ્યુલન્સ કે શબવાહિની પણ નથી આવી શકતી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રસ્તો બંધ હોવાથી કોઈ અચાનક બીમાર પડે કે કોઈ ગર્ભવતી મહિલાને દવાખાને લઈ જવાની જરૂર પડે ત્યારે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી. તેવી જ રીતે, કોઈ મૃત્યુ પામે તો શબવાહિની પણ આવતી નથી, જેના કારણે મૃતદેહને પાટા અને રેલિંગ પાર કરાવીને સ્મશાન સુધી લઈ જવાની દયનીય સ્થિતિ સર્જાય છે.


તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ

સ્થાનિક લોકોનો આરોપ છે કે આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક નેતાઓ, રેલવે વિભાગ અને પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તાજેતરમાં, વરસાદ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિએ આ ગંભીર પરિસ્થિતિનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેણે તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે.


આ પણ વાંચો: તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો કેટલા મજબૂર છે અને તેમને રોજિંદા જીવનમાં કેવી હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે અંડરપાસનું કામ પૂર્ણ કરી રસ્તો ફરીથી ચાલુ કરવાની માંગ કરી છે, જેથી આ ગંભીર સમસ્યાનો અંત આવે.