ગમે ત્યાં નાશ્તા કરનારા ચેતજો, અમદાવાદના વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી
Ahmedabad News : ખાણીપીણીની વસ્તુમાં ક્યારેક જીવજંતુ નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદના વેજલપુરમાંથી સમોસાની ખરીદી કરનારા મહિલાએ ઘરે જઈને જોયું તો સમોસાની ચટણીમાં મૃત ગરોળી નીકળી હતી. આ મુદ્દે મહિલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી
એક મહિલાએ દાવો કર્યો છે કે, હું વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સની સામે આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી સમોસા અને ચટણી લઈને ઘરે ગઈ હતી. ત્યાર પછી ઘરે જઈને ખાવા માટે સમોસા-ચટણી નીકાળી હતી. ત્યારે ચટણીમાં ગરોળી દેખાતાં હું ચોંકી ઉઠી હતી.
આ મામલે મહિલાએ દુકાને જઈને દુકાનદારને પણ ફરિયાદ કરી છે. જો કે, આ દુકાનદાર કોઈ વાત સાંભળવા જ તૈયાર ન હતો. તેથી મહિલાએ આ ઘટનાને લઈને કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. હવે જોવાનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દુકાનદાર વિરૂદ્ધમાં શું પગલાં લેવામાં આવે છે.