કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત

Kutch Crime News: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે આજે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. ઘરના જ પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને તેની બે માસૂમ પુત્રીઓ સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર આહીર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આડેસર ગામે રહેતા રવાભાઈ મકવાણા (આહીર)ના પત્ની રૈયાબેન (ઉ.વ. 28) આજે સવારે 6 વાગ્યાની આસપાસ ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની 5 વર્ષની દીકરી આરતીબેન અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી.
પોતાની નજર સામે દીકરીને ડૂબતી જોઈને માતા રૈયાબેન તેને બચાવવા માટે દોડ્યાં હતાં. કમનસીબે તે સમયે તેમના હાથમાં તેમની 3 માસની દીકરી આયુષી પણ હતી. દીકરી આરતીને બચાવવાની પ્રયાસમાં માતા રૈયાબેન 3 માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા અને ડૂબી જવાથી ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા.
આ પણ વાંચો: અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત
આ ઘટના સમયે રૈયાબેનના પતિ રવાભાઈ એક ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરીએ હોવાથી ઘરે હાજર ન હતા. મૃતક રૈયાબેનને સંતાનમાં ત્રણ દીકરી હતી. સદનસીબે, તેમની અન્ય એક દીકરી તે સમયે ઘરમાં સૂઈ રહી હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય માતા-પુત્રીના મૃતદેહોને પાણીના ટાંકામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.
પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ હૃદયદ્રાવક ઘટના અકસ્માત છે કે પછી પારિવારિક કારણોસર આપઘાત તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

