ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anand News: આણંદ જિલ્લાના ખંભાતમાં એક સગીરા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વત્રા ગામના એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેના જ હાથે પરિવારના સભ્યોને ભોજનમાં ઊંઘની ગોળીઓ ખવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ખંભાતના વત્રા ગામના વાડિયાપુરા વિસ્તારમાં રહેતા રણજીત ઠાકોર નામના શખ્સે એક સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને ધીમે ધીમે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.
આરોપી રણજીતે આ ગુનાને અંજામ આપવા માટે તેના મિત્ર વિજય ઠાકોર સાથે મળીને એક કાવતરું રચ્યું હતું. રણજીતે સગીરા પર દબાણ કરીને તેને ઊંઘની ગોળીઓ આપી હતી અને તે તેના પરિવારના રાત્રિના ભોજનમાં ભેળવી દેવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: સુરતની કોલેજમાં બની કાળજું કંપાવી દે તેવી ઘટના : સ્પીચ આપતાં આપતાં 24 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત
સગીરાએ દબાણમાં આવી આ ગોળીઓ ભોજનમાં ભેળવી દેતાં ઘરના તમામ સભ્યો જમ્યા બાદ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. આ જ તકનો લાભ લઈને આરોપી રણજીત ઠાકોરે સગીરાના ઘરમાં ઘૂસી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચીને રણજીત ઠાકોર અને તેના મિત્ર વિજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગંભીર ઘટનામાં મુખ્ય આરોપી રણજીત ઠાકોર અને કાવતરામાં સામેલ વિજય ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.









