રાજ્યમાં અકસ્માતની બે ઘટનામાં બેના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
Accident Incident : ગુજરાતમાં માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ખંભાળિયા-ભાઈવડ હાઈવે અને રાજકોટ-બગોદરા હાઈવે પર બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બંને ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળિયા-ભાઈવડ હાઈવે પર અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત
ખંભાળિયા-ભાઈવડ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રીના પરિવારજનો પગપાળા માનતા ઉતારવા ભૂતવડ મંદિરે જઈ રહ્યા હતા આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલો કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં 35 વર્ષીય જિતેન્દ્ર લાલજી નકુમનું ઘટનાસ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ બગોદરા હાઈવે પર મીઠાપુર ગામના પાટીયા પાસે BMW કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને બગોદરા પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.