ગુજરાતની પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગનો આક્ષેપ: કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી
Kadi-Visavadar Election, Gujarat : ગુજરાતમાં આગામી પેટાચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આજે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આચારસંહિતાના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગનો કોંગ્રેસનો આક્ષેપ
મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા મતદારોને લોભાવવા માટે ભોજન સમારંભોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, થોળ સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને મત આપવા આવતા મતદારો માટે ખાસ ભોજન સમારંભો ગોઠવવામાં આવ્યા છે, જે આચારસંહિતાનો સીધો ભંગ છે.
આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ, પોલીસે મામલો થાળે પાડ્યો
આ ઉપરાંત, દોશીએ વિસાવદર બેઠક પર પણ આચારસંહિતા ભંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કમળના ચિન્હ સાથે મતદાન મથકમાં પ્રવેશ્યા હતા, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ અંગે પણ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કોંગ્રેસે એ મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરી હતી કે, ભાજપના આગેવાનોને વિધાનસભા વિસ્તારમાં રહેવાની છૂટ આપવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસના આગેવાનોને બહાર કાઢી મૂકવામાં આવી રહ્યા છે. આ ભેદભાવભરી નીતિ સામે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: કડી-વિસાવદર સહિત 4 રાજ્યની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન શરૂ, પરિણામ ક્યારે?
મનિષ દોશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે અને લોકશાહી પ્રક્રિયાને દૂષિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસે આ તમામ ગેરરીતિઓ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચમાં વિગતવાર ફરિયાદ કરી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. આગામી સમયમાં ચૂંટણી પંચ આ ફરિયાદો અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.