Get The App

જન્માષ્ટમી સમયે જ દ્વારકાધીશને ભોગ ધરવાના બહાને ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
જન્માષ્ટમી સમયે જ દ્વારકાધીશને ભોગ ધરવાના બહાને ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર 1 - image


Dwarkadhish Temple News :
યાત્રાધામ દ્વારકાનાં જગતમંદિરનાં નામે કેટલાક લેભાગુતત્ત્વો બનાવટી વેબસાઇટ તથા એપ્લિકેશનનાં માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી કરી રહ્યા હોવાની ઘટનાઓ તાજેતરમાં બહાર આવી હતી. જે પછી ફરી એક વખત હાલમાં જન્માષ્ટમી પર્વ પર જગતમંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશને ચડાવા-ભેટ તથા મોણ-મિશ્રીનાં ભોગ સહિતની સેવાઓ અર્પણ કરવાનો દાવો કરતી એક ઓનલાઈન એપ્લિકેશન પ્રકાશમાં આવતા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરવી જોઈએ એવું ભાવિકો ઈચ્છી રહ્યા છે. કારણ કે આજે દેવસ્થાન સમિતિએ પણ આ ફેક વેબસાઈટ હોવાનો ખુલાસો કર્યો હતો.

“ઘરમંદિર” નામની શંકાસ્પદ એપ્લિકેશન વડે જન્માષ્ટમી પર્વ પર જગતમંદિરે ભક્તોનાં નામે વિવિધ સેવાઓ અર્પણ કરવાનાં નામે રૂ. 151, રૂ. 201, રૂ.301 સુધીની રકમ ઓનલાઈન વસૂલવામાં આવી રહી છે. ઈન્સ્ટાગ્રામમાં પણ આ નામનું એકાઉન્ટ કાર્યરત છે. જે એકાઉન્ટ પરથી ભાવિકોને સીધા એપ્લિકેશન પર ડાયવર્ટ કરવામાં આવે છે. આ મામલે દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ વતી વ્યવસ્થાપક હિમાંશુ ચૌહાણે ખુલાસો કરતા જણાવ્યું છે કે, 'જગતમંદિરે આવી કોઈ સેવા ઉપલબ્ધ નથી. આ મામલે એસ.પી.ને લેખિત ફરિયાદ કરી છે. આવી બનાવટી એપ્લિકેશન અને સોશિયલ મીડિયા આઇડીથી સાવધાન રહેવા અપીલ છે.'

પરિણામે શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા જગતમંદિરનાં નામે ઓનલાઇન પૈસા ઉઘરાવી છેતરપિંડી કરવા સાથે લોકોની શ્રદ્ધા સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો હોવાનું ફલિત થાય છે. દ્વારકા મંદિર વ્યવસ્થાપક સમિતિ તો ફક્ત તેનાં કર્તવ્ય મુજબ સાવધાન કરી શકે, પરંતુ જન્માષ્ટમી પર આ રીતે ખુલ્લેઆમ ફ્રોડ થઈ રહ્યો હોવાથી સાયબર ક્રાઈમ પોલીસે તો આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ છતાં કેમ નિષ્ક્રિય છે? એવો સવાલ પણ ભાવિકો ઉઠાવી રહ્યા છે. 

જન્માષ્ટમી પર્વ પર શ્રીકૃષ્ણ જન્મોત્સવનો લાભ લેવા લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા આવે છે, પરંતુ કરોડો ભક્તો એવા પણ હોય છે જે દ્વારકા નથી આવી શકતા ત્યારે જન્માષ્ટમી પર્વ પર આવી બનાવટી વેબસાઈટ દ્વારા જગતમંદિરનાં નામે ભક્તો સાથે કરોડોની છેતરપિંડી થઈ શકે છે. જન્માષ્ટમી પર્વ પર અનેક લોકો આ છેતરપિંડીનો ભોગ બને એ પહેલા જ આ કેસમાં પોલીસે જાતે ફરિયાદી બનીને આ બનાવટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવનારા ઠગબાજોને ઝડપી લેવા જોઈએ