જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મોત
Jamnagar News: જામનગરના નાઘેડીમાં રવિવારે (31મી ઓગસ્ટે) ગણેશ વિસર્જન દરમિયાન રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય પ્રિતેશ પ્રજાપતિ, 4 વર્ષીય પુત્ર અંશ અને 14 વર્ષીય સંજય સાથે ઊંડા ખાડામાં ડૂબી જતાં ત્રણેયનાં મોત થયાં હતાં. જેના પગલે જામનગર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આજે (પહેલી સપ્ટેમ્બર) મૃતક પિતા અને બે પુત્રની અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પિતા અને બે પુત્રની એકસાથે અર્થી ઊઠતાં સૌ કોઈની આંખોમાં આંસુ હતા અને શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
પુત્રના મૃતદેહ સામે માતાનું હૈયાફાટ રૂદન
પિતા-પુત્રોની આજે અંતિમયાત્રા નીકળી હતી, મૃતક પ્રિતેશભાઈના પત્ની જલ્પાબેન પોતાના બે પુત્રોના મૃતદેહ સામે હૈયાફાટ રૂદન કર્યું હતું. આ દરમિયાન સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ત્રણેયની એકી સાથે અર્થી ઊઠી હતી અને જામનગરના આદર્શ સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
કેવી રીતે દુર્ઘટના સર્જાઈ?
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય પ્રિતેશ પ્રજાપતિ (રાવલ) પરિવાર સાથે નાઘેડી વિસ્તારની પોદાર સ્કૂલ નજીક આવેલા તળાવમાં ગણેશ વિસર્જનમાં હતા. ગણપતિજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતા સમયે પ્રિતેશ પોતાના 4 વર્ષીય પુત્ર અંશ અને 16 વર્ષીય સંજય સાથે પાણીમાં ઉતર્યા હતા. ત્રણેય પિતા-પુત્ર એકાએક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.પરંતુ કોઈને તરતા આવડતું ન હોવાથી ત્રણેય પાણીમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યાં હતા.
આ દુર્ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને ધ્યાને આવતી તરજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને પ્રિતેશભાઈ બે પુત્રો સંજય અને અંશના મૃતદેહને તળવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.