Jamnagar Shah Family Diksa Vidhi: જામનગરના આંગણે તા.5મીએ લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકૃતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ બોડગ સંકુલમાં શિહોરવાળા શાહ પરિવારનું દંપતી અને તેમનો 10 વર્ષનો પુત્ર એક સાથે સંસાર ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાશે. આ પ્રસંગે આશીર્વચનો આપવા ગુરુ મહારાજોનું જામનગરમાં આગમન થતાં તેઓનું સામૈયું યોજાયું હતું.
જામનગરનાં આંગણે શાહ પરિવારનાં ત્રણ સભ્યોની શુક્રવારે દીક્ષાવિધિ
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર-49માં વસતા શિહોરવાળા શાહ જયંતિલાલ મોહનલાલ પરિવારના રોકાણ સલાહકાર નંદીશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (ઉ.વ.50), તેમના પત્ની ધારિણીબેન (ઉ.વ.45) અને 10 વર્ષનો પુત્ર તીર્થ તા.5 ડિસેમ્બર ને શુક્રવારે આચાર્ય પુર્ણચંદ્રસાગરસુરીજી મહારાજ, આચાર્ય અપુર્વચંદ્રસાગર સુરીજી મહારાજ, આચાર્ય આગામચંદ્રસાગર સુરીજી આદિ ગુરુજનોની નિશ્રામાં સંસાર ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે. લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકૃતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ બોડગ સંકુલમાં દીક્ષા વિધિ યોજાશે.
હાલ જેઓ દીક્ષા લઈ રહ્યા છે તે નંદીશભાઈના સંસાર પક્ષે દાદા, દાદી, ફઈબા અને કાકી વર્ષો પહેલા સંયમના માર્ગે પ્રયાણ કરી ચુક્યા છે તથા દંપતીની પુત્રી અને એક પુત્ર પણ સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુક્યા છે.
જવલ્લે જ બનતો સંયોગઃ દીક્ષા વિધિ માટે સાંસારિક સગા એવા મુનિ-સાઘ્વિઓની ઉપસ્થિતિ
હવે નંદીશભાઈ અને તેના પત્ની અને પુત્રની દીક્ષા ગ્રહણના સાક્ષી બનવા આજે જામનગરમાં તેઓના એક સમયના સંસારી સગાઓ એવા મુનિ ગુણશેખર વિજયજી મહારાજ (ભત્રીજા), મુનિ અમમચંદ્રસાગરજી (ભત્રીજા), મુનિ અક્ષતચંદ્રસાગરજી (પુત્ર-2022માં દીક્ષા લેનાર સંસારી ચૈત્ય નામ હતું તે), મુનિ આર્જવચંદ્રસાગરજી (મોટાભાઈ), સાઘ્વી વતનંદિતાશ્રીજી મહારાજ (બહેન), જિનાંગવતાશ્રીજી (માતા), સાઘ્વી હેમપપિયાશ્રીજી (ભત્રીજી), સાઘ્વી વિશ્વવતાશ્રીજી (પુત્રી-2022માં દીક્ષા લેનાર સંસારી નામ વીરાલી હતું તે) તેમજ હેમધિપિયાશ્રીજી (ભાભી)નું જામનગરમાં આગમન થયું છે. આ પૂર્ણ પરિવારજનો પોતાના આત્મિયોના સંસાર ત્યાગના સાક્ષી બનશે. જૈન સમાજમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.
આ પણ વાંચો: 'હપ્તારાજ'ને કારણે દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ 48000 ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં
પરિવારની દીક્ષાની વિધિ પૂર્વે ધામિર્ક કાર્યોનો આરંભ
દીક્ષા વિધી પૂર્વે તા. 2ના શાંતિ સ્નાત્ર પુજન મોટા શાંતિનાથ દેરાસર ખાતે તથા રાત્રે ભક્તિ સંગીત. તા. 3ના બપોરે 2:30 વાગ્યે કપડા રંગોત્સવ તથા રાત્રે 8:30 વાગ્યે ઘરેથી વિદાય. તા. 4ના સવારે 8:30 વાગ્યાથી વષીદાનની શોભાયાત્રા ચાંદી બજારથી શરૂ થશે. તા. 5ના સવારથી દીક્ષા(પ્રવજ્યા)વિધી શેઠ પોપટ ધારશી બોડગ ખાતે યોજાશે.
પાંચ સભ્યોના આખા પરિવારના દીક્ષા ગ્રહણની અનોખી ઘટના
જામનગરનું દંપતી તથા પુત્ર દીક્ષા લેશે એ સાથે પાંચ સભ્યોના એક આખા પરિવારના દીક્ષા ગ્રહણની ઘટના આકાર લેશે. કારણ કે દંપતીની પુત્રી અને એક પુત્ર પણ વર્ષ 2022માં સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુક્યા છે.


