Get The App

જામનગરમાં કૌટુંબિક સંબંધ બન્યા લોહિયાળ: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં કૌટુંબિક સંબંધ બન્યા લોહિયાળ: પત્નીને ભગાડી જનાર પિતરાઈ ભાઈની હત્યા 1 - image

Crime News: જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પિતરાઈ ભાઈએ જ ભાઈ પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી છે. આ હત્યાનું કારણ આઠ મહિના જૂની અદાવત હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં મૃતક યુવાન આરોપીની પત્નીને ભગાડી ગયો હતો. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બની ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. આ ઘટના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54ના પાસે બની હતી. જીતેન્દ્ર જ્યારે પોતાના એક્ટિવા સ્કૂટર પર જઈ રહ્યો હતો, ત્યારે તેના પિતરાઈ ભાઈ દિલીપ રમેશભાઈ ચાવડાએ તેને રસ્તામાં રોક્યો હતો.

આરોપી દિલીપે ઉશ્કેરાઈ જઈને જીતેન્દ્ર પર છરી વડે ચાર જેટલા ઘા ઝીંકી દીધા હતા. હુમલાના કારણે જીતેન્દ્ર લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.

પત્નીને ભગાડી જવાની જૂની અદાવત

આ ગંભીર ગુનાની જાણ થતાં જ સિટી સી. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં હત્યાનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું હતું. મૃતક જીતેન્દ્ર ઉર્ફે જયલો આશરે આઠ મહિના પહેલા આરોપી દિલીપની પત્નીને ભગાડી ગયો હતો અને તેને પોતાના જ ઘરમાં રાખી હતી. આ વાતનું દિલીપને સખત મનદુઃખ હતું અને તેના બદલાની ભાવનાથી તેણે મોકો જોઈને જીતેન્દ્ર પર જીવલેણ હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

પોલીસે મૃતક જીતેન્દ્રના પિતા જગદીશભાઈ ચાવડાની ફરિયાદના આધારે આરોપી દિલીપ રમેશભાઈ ચાવડા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની તાત્કાલિક અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે અને આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

Tags :