જાફરાબાદના દરિયામાંથી વધુ બે માછીમારના મૃતદેહ મળ્યાં, હજુ 7 લાપતા, શોધખોળ ચાલુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jafrabad News : જાફરાબાદના અરબી સમુદ્રમાં ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. જેમાં બોટમાં સવાર 11 માછીમારો ગુમ થયા હતા. દુર્ઘટના બાદ ગત 20 ઓગસ્ટથી પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા ગુમ થયેલા માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે, ત્યારે થોડા દિવસ પહેલા બે માછીમારના મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે શોધખોળ દરમિયાન 28 ઓગસ્ટે વધુ બે માછીમારનો મૃતદેહ મળી આવ્યા હતા. એમ અત્યાર સુધી 4 માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે, ત્યારે હજુ પણ 7 માછીમારો લાપતા છે.
4 માછીમારોના મૃતદેહ મળ્યાં
મળતી માહિતી મુજબ, જાફરાબાદના અરબી સમુદ્રમાં 11 ગુમ માછીમારો માંથી 4ના મૃતદેહ મળી આવ્યા છે, ત્યારે લાપતા 7 માછીમારીની શોધખોળ ચાલી રહી છે. તેવામાં 28 ઓગસ્ટે 9 લાપતા માછીમારોમાંથી વધુ બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના માછીવાડ ગામના દરીયામાંથી જાફરાબાદના વતની હરેશ બીજલભાઈ બારૈયા (ઉં.વ.37)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી માછીમારના મૃતદેહને જલાલપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી પૂરી થતાં આજે (29 ઓગસ્ટ)ની સવારે 7 વાગ્યે પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
જ્યારે વધુ એક માછીમારી મનસુખભાઈ ભાણાભાઈ (ઉં.વ.43)નો મૃતદેહ મળી આવતાં જલાલપુર તાલુકાના મરોલી સી.એચ.સી ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. મૃતક મનસુખભાઈ જયશ્રી તાત્કાલીક નામની ફિશિંગ બોટના ખલાસી હતા. પરિવારજનોએ મનસુખભાઈના મૃતદેહને ખરાઈ કરતાં તેમને મૃતકનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અમરેલી: જાફરાબાદના દરિયામાં 9 ખલાસીઓ 6 દિવસથી લાપતા, બેના મૃતદેહ મળ્યા
હજુ પણ 7 માછીમારો લાપતા
આ ઘટનામાં હજુ પણ 7 માછીમારો લાપતા છે, જેમની શોધખોળ કોસ્ટગાર્ડની ટીમ અને સ્થાનિક માછીમારો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. કોસ્ટગાર્ડની ટીમ સાથે હવે માછીમારોની 10 બોટ પણ આ શોધખોળમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે મૃતદેહો શોધવામાં તકલીફ પડી રહી છે.
શું હતી ઘટના?
થોડા દિવસો પહેલાં અમરેલી જિલ્લાના જાફરાબાદની બે અને રાજપરા ગામની એક બોટને દરિયામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં જાફરાબાદની બે બોટ અને ગીર સોમનાથના રાજપરાની એક બોટમાં 28 માછીમારો હતા. જેમાંથી 17 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે 11 માછીમારો ગુમ થયા હતા. જેને લઈને ગત 20 ઓગસ્ટથી પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા ગુમ થયેલા માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેમાં 22 ઓગસ્ટ, 2025ના રોજ પીપાવાવ કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર, શોધખોળ દરમિયાન 2 માછીમારોના મૃતદેહ મળ્યા હતા.
આ પછી મૃતદેહો પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા 23 ઓગસ્ટે જાફરાબાદ ખાતેના સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બંને મૃતદેહ જયશ્રી તાત્કાલીક નામની ફિશિંગ બોટના હોવાનું જણાયું હતું. જેમાં જાફરાબાદ દિનેશભાઈ બાબુભાઈ બારૈયા (ઉં.વ. 38) અને વિનોદભાઈ ઢીસાભાઈ બારૈયા, (ઉં.વ. 38)ના મૃતદેહનું પીએમ કર્યા બાદ બંને માછીમારોના પરિવારજનોને મૃતકોના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.









