શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ, એક ગાર્ડ મૂકી ત્રણનો પગાર લીધાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: નવ મહિના પહેલાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ જે શાળા લોકાર્પણ કરી હતી તે જ શાળામાં સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યું છે. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કઠોદરાની શાળામાં સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યા બાદ ઇનચાર્જ શાસનાધિકારીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જો કે, આ સમગ્ર કિસ્સામાં ઇનચાર્જ આચાર્ય ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. જો કે, સમિતિએ પોલીસ ફરિયાદમાં આચાર્યનું નામ લખાવ્યું નથી. પરંતુ સમિતિના તમામ ભવનમાં એક જ એજન્સી સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હોવાથી અન્ય શાળામાં પણ કૌભાંડ થયું હોવાની આશંકા છે. જેના કારણે અન્ય શાળામાં કૌભાંડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે તેવી વાત સમિતિ અધ્યક્ષે કરી છે.
જાણો શું છે મામલો
સમિતિના કઠોદરા ખાતાની શાળાનું નવ મહિના પહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળા ક્રમાંક 385મા સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યું છે. સમિતિની તમામ શાળા ભવનમાં શક્તિ સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે, આ શાળાને 24 કલાક સિક્યુરિટીની જરૂર હોય ત્રણ ગાર્ડ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે, એજન્સી દ્વારા એક જ ગાર્ડ રાખવામાં આવ્યો હતો અને પગાર ત્રણ ગાર્ડનો લેવામાં આવતો હતો. ઈનચાર્જ શાસનાધિકારી મેહુલ પટેલે તપાસ કરતાં કૌભાંડ બહાર આવતાં લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે, આ ફરિયાદ બાદ એક જ એજન્સીનો કોન્ટ્રાક્ટ હોય અન્ય શાળામાં પણ કૌભાંડની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ અંગે માહિતી આપતાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયાએ જણાવ્યું હતું કે, 'ફરિયાદ મળી હતી કે સિક્યુરિટી એક જ હોવા છતાં ત્રણ સિક્યુરિટી હોવાનો પત્ર આચાર્ય દ્વારા લખવામા આવે છે અને તેના આધારે સમિતિ દ્વારા એજન્સીને પેમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ રજીસ્ટરમાં ચેક કરવામાં આવ્યું ત્યારે એક જ સીક્યુરિટીની હાજરી પુરવામાં આવી હતી. ગણતરી કરીને 3.67 લાખની પેનલ્ટી કરી પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે. આ ઘણી જ ગંભીર બાબત છે, જ્યાં કૌભાંડ થયું ત્યાં 24 કલાક સિક્યુરિટીની જરૂર હોવાથી ત્રણ ગાર્ડ મૂકવામાં આવ્યા છે. તપાસ કરી અન્ય શાળામાં કૌભાંડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.'
આ ઉપરાંત ઇનચાર્જ આચાર્યની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું કહેવાઈ રહ્યું છે તે અંગે પણ સમિતિ દ્વારા તપાસ કરવામા આવી રહી છે.









