ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર
Gujarat IMD Weather Forecast: રાજ્યમાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે. હવામાન વિભાગે સાંજે વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે 6 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે (શુક્રવાર) 6થી 12ના સમયગાળામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. 6 કલાકની અંદર 4.17 ઇંચ વરસાદ ખાબકતાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પણ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં આખી રાત લોકોને હાલાકીની સામનો કરવો પડ્યો હતો. એવામાં સરકારી હૉસ્પિટલમાં પાણી ભરાઈ જતાં સારવાર લેતાં દર્દીઓથી લઈને પરિજનો અને હૉસ્પિટલ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર્દીના વોર્ડ સુધી પાણી ભરાઈ જતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
રેડ ઍલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ
પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ
સૌથી વધુ કચ્છ ઝોનમાં ખાબક્યો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દૃષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38 ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49 ટકા વરસાદ નોંધાયો છે.
NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ તૈનાત
ચોમાસાની કોઈપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની 3 ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 4,278 નાગરિકોનું સ્થળાંતર અને 689 નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના માછીમારોને પણ આગામી તા. 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ 14,490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે.
GSRTCની એક પણ બસનો રૂટ કે ટ્રીપ બંધ કરાઈ નથી
ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમની એક પણ એસ.ટી.બસનો રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTC દ્વારા નિર્ધારિત રાજ્યના કુલ 14,598 એસ.ટી. રૂટ પરની 40,264 ટ્રીપમાંથી વરસાદના કારણે એક પણ રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTCની બસો દ્વારા નાગરિકોને વરસાદ વચ્ચે પણ સુરક્ષિત પોતાના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવ્યા છે.