ત્રણ દિવસમાં કોરોનાની પૂરી માહિતી તૈયાર નહીં થાય તો આંદોલન રાજકોટમાં કમિશનરને રોષપૂર્ણ રજૂઆત
રાજકોટ, તા. 28 જુલાઈ 2020 મંગળવાર
રાજકોટમાં મહાપાલિકા દ્વારા 900થી વધારે દર્દીઓના નામ સરનામા સહિતની વિગતો જાહેર કર્યા બાદ હવે કેસો ખૂબ વધી ગયા છે ત્યારે કમિશનરે ગઈકાલથી આ માહિતી જાહેર કરવાનું બંધ કરતા રોષની લાગણી પ્રસરવા સાથે વિવાદ સર્જાયો છે.
આ અન્વયે આજે રાજકોટ મહાપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયા દંડક અતુલ રાજાણી વગેરે કોર્પોરેટરો કમિશનર પાસે ધસી ગયા હતા અને અતિ રોષપૂર્વક રજૂઆત કરી એવી ચીમકી અપાઇ હતી.
જો ત્રણ દિવસમાં કોરોનાના દર્દીઓની પૂરી વિગતો તથા મૃત્યુ પામનારાની પૂરી વિગતો જાહેર કરવાનું શરૂ નહીં કરાય તો કોંગ્રેસ આ મુદ્દે ઉગ્ર આંદોલન કરશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે કમિશનર સહિત અધિકારીઓ ભાજપના કહ્યાગરા બની કામ કરવાને બદલે જાહેર હિતમાં કામ કરે અને આ કપરા સમયમાં કોરોનાને અટકાવવા ટેસ્ટિંગ સહિત તેમજ ઘરે-ઘરે સર્વે સહિતની નક્કર કામગીરી કરે તેવી માગણી કરવામાં આવી છે.
વધુમાં એવું રસપૂર્વક જણાવવાનું કે કમિશનર જાણતા-અજાણતા આવા નિર્ણયો લઈને રાજકોટને પણ અમદાવાદ અને સુરતની જેમ મહામારીનુ હોટસ્પોટ બનાવવા જઈ રહ્યા છે જેને કોંગ્રેસ સાંખી લેશે નહીં.